(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દાદરા નગર હવેલીમાં વન વિભાગ દ્વારા 68 જેટલા ચેકડેમ બનાવાયા છે. પરંતુ ચોમાસામાં પડતા ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીના પવ્રાહ સાથે આવતા કૂડા-કચરા અને માટી-મથ્થરથી ચેકડેમો પુરાઈ જતા હોય છે અને તેમાં પાણીનો સંગ્રહ થતો નથી. તેથી જે ચેકડેમો પુરાઈ ગયા હોય અને પાણીનો સંગ્રહ નહીં થઈ શકતો હોય તેવા તમામ ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા ડિસીલ્ટીંગ(પાણીની નિસ્યંદન પ્રક્રિયા)ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ડિસીલ્ટીંગ પ્રક્રિયા હેઠળ ચેકડેમોમાં ‘અમૃત સરોવર યોજના’થી પ્રેરિત થઈ એક એકર વિસ્તારમાં અંદાજીત દસ હજાર ક્યુબિક મીટર ઘેરાવમાં પાણી સંગ્રહિત કરી શકાશે. ડિસીલ્ટીંગ પ્રક્રિયા હેઠળ વનવિભાગ દ્વારા ‘અમૃત સરોવર યોજના’ને સાકાર કરવાના હેતુથી દાનહના ઉમરકૂઈ બેહદુનપાડા ગામમાં બનેલા ચેકડેમમાં ડિસીલ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉમરકુ/ બેહદુનપાડા શહેરની સુવિધાઓથી દૂર જંગલની વચ્ચે આવેલ વિસ્તાર છે. વન વિભાગની ડિસીલ્ટીંગની કામગીરીથી વન્યજીવોને પાણી મળી રહેશે અને જમીન અને જળ સંરક્ષણની કામગીરીને ફાયદો થશે, જેમાં પર્યાવરણના રક્ષણની સાથે સ્થાનિક લોકોના કુવા અને બોરવેલમાં પાણીનું સ્તરવધશે.