ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)ના કો-ઓર્ડીનેટર ડૉ. શ્વેતા શર્મા અને એસ.વી.નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી-સુરતના રિજનલ કો-ઓર્ડીનેટીંગ ઇન્સ્ટિટયૂટના સહયોગથી યોજાયો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કેન્દ્ર આરંભ કરાયેલા ‘‘ઉન્નત ભારત અભિયાન”ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી ખાતે આવેલી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજમાં આજે મંગળવારના રોજ એક દિવસીય ‘ઓરિએન્ટેશન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે યાદ રહે કે, ‘‘ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)” એ ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મહત્ત્વનું છે. જેથી યુ.બી.એ. કો-ઓર્ડીનેટર ડૉ. શ્વેતા શર્મા અને એસ.વી.નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી-સુરતના રિજનલ કો-ઓર્ડીનેટિંગ ઇન્સ્ટિટયૂટના સહયોગથી દાનહના ડોકમરડી ખાતે આવેલી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્ટેશન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસ.વી.એન.આઈ.ટી. સુરતના આર.સી.આઈ.યુ.બી.એ.કો-ઓર્ડીનેટર ડૉ. કૃપેશ ચૌહાણ તથા સભ્ય ડૉ. પિનાલ એન્જિનિયર, ડૉ. આદિત્ય કોન્ટ્રાક્ટર અને શ્રી શ્યામ રંગરેજ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે વિશેષ અતિથિશ્રીઓએ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરતા ‘‘ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)”ની યોજનાઓ, તેના લાભો અને પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમથી કોલેજના વિદ્યાર્થીઓને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે યોગદાન આપવાની શક્યતાઓ સમજવા અને યુ.બી.એ.ના વિવિધ પાસાઓને સમજવામાં ઉપયોગી માહિતી મળી રહેશે જેનાથી તેઓને ભવિષયના કાર્યમાં મદદ મળશે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય શ્રી ભગવાનજી ઝા, પ્રોફેસરો, આમંત્રિત મહેમાનો તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.