(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03: નાની દમણ ખાતે દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત સાપ્તાહિક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમહોત્સવના છઠ્ઠા દિવસે આજે પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્યાસે ઉદ્ધવચરિત્ર, મહારાસલીલા અને કૃષ્ણ-રૂકમણી વિવાહનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે કથામંડપ પરિસરમાં શ્રી કૃષ્ણ અને રૂકમણીનાં લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન ભક્તો પોતાના હરખને રોકી શક્યા ન હતા અને લગ્ન સમારોહ દરમિયાન રજૂ કરાયેલા ભજનો દરમિયાન ઉત્સાહપૂર્વક મન મૂકીને ઝૂમી ઉઠયા હતા.
અત્રે યાદ રહે કે, દિલીપ નગર વિકાસ સંઘ દ્વારા તા.26 ફેબ્રુઆરીથી દિલીપ નગર મેદાન ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્યાસે આજે વ્યાસપીઠ ઉપરથી પંચ અધ્યાયનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહારાસમાં પાંચ અધ્યાય છે. તેમાં ગાયેલા પાંચ ગીતો ભાગવતના પાંચ જીવન છે, જે કોઈ પણ ઠાકુરજીના આ પાંચ ગીતો ભાવથી ગાય છે તે ભવ પાર છે. તેને વૃંદાવનની ભક્તિ સરળતાથી મળી જાય છે. કથામાં શ્રી ભરતભાઈએ ભગવાનનું મથુરા જવું, કંસનો વધ, મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં શિક્ષણ મેળવવું, ઉદ્ધવ-ગોપી સંવાદ, દ્વારકાની સ્થાપના, રૂકમણી વિવાહ વગેરેનું સંગીતમય રીતે ભાવાત્મક પઠન કર્યું હતું. કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, શ્રધ્ધા અને આસ્થા સાથે ભગવાનનીપ્રાપ્તિ કરવી જરૂરી છે. પરમાત્માની પ્રાપ્તિ માટે નિヘય અને પરિશ્રમ પણ જરૂરી છે. આજના ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહની ઝાંખીએ સૌને ખૂબ જ ખુશ કરી દીધા હતા. કથા દરમિયાન ભક્તિ સંગીતે શ્રોતાઓને આનંદથી ભરી દીધા હતા. કથાકાર પૂ. શ્રી ભરતભાઈ વ્યાસે કહ્યું હતું કે જે ભક્તો પ્રેમીકૃષ્ણ રૂકમણીના લગ્ન સમારોહમાં જાય છે, તેમની વૈવાહિક સમસ્યાઓ કાયમ માટે સમાપ્ત થઈ જાય છે.
આ પ્રસંગે આકર્ષક વેશભૂષામાં શ્રી કૃષ્ણ અને રૂકમણી વિવાહની ઝાંખી રજૂ કરીને લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. કથાની સાથે ભજન સંગીત પણ રજૂ કરાયું હતું. આજે કથામાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, શ્રીમતી તરૂણાબેન પટેલ અને અન્ય મોટી સંખ્યામાં ભક્તોએ ભાગવત કથાનો લ્હાવો લીધો હતો.
આવતી કાલે શનિવારે શ્રીમદ્ ભાગવત કથામાં સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સંદર્ભ સાથે કથાનું સમાપન કરવામાં આવશે. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.