પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મહિલાઓને મળેલો બરોબરીનો અધિકારઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મહિલાઓના સશક્તિકરણ માટે શિક્ષણ, સ્વનિર્ભરતા સહિતના ખોલેલા અનેક દ્વારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09: દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે બુધવારે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુપ્રસિદ્ધ લેખક અને વક્તા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યએ દરેક મહિલાઓને આનંદદાયક જીવન માટે ‘‘સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો”નો મંત્ર આપ્યો હતો. શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું કે, એક મહિલાના જીવનમાં કેટલા રંગ છે અને તે દરેક રંગ આજે મહિલા દિવસ પર આવી ગયા છે. તેમણે હોળીના તહેવારની સાથે મહિલા દિવસની થઈ રહેલી ઉજવણીની પણ પ્રશંસા કરી હતી.
શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય એ વિવિધ વાર્તાઓના માધ્યમથી મહિલાઓને જાગૃત પણ કરી હતી અને પોતાના આરોગ્યની કાળજી રાખવા પણ શિખામણ આપી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મહિલાઓને બરાબરીનો અધિકાર મળ્યો હોવાનીલાગણી પણ દર્શાવી હતી. તેમણે પાંચ વર્ષ પહેલા દમણની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે પાંચ વર્ષ પછી દમણ સંપૂર્ણ રીતે બદલાય ચૂક્યું છે. આજે મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ જેવી કોલેજોથી મહિલાઓ પ્રશિક્ષિત થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ0 ટકાનું આરક્ષણ મહિલાઓને મળ્યું છે. તેથી માળખાગત સુવિધાની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ આવેલા પરિવર્તનનો લાભ પ્રદેશની મહિલાને મળી રહ્યો છે. આ તમામ વાતનો શ્રેય પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને આપ્યો હતો.
શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું હતું કે, તેઓ એક દિવસ એર એરલાઈન્સની ફલાઈટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે 24 વર્ષીય મહિલા પાયલટને જોતા તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમણે મહિલા પાયલટને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે, તે એક પછાત વર્ગમાંથી આવી સરકારી યોજનાનો લાભ લઈ પોતાની મહેનતથી પાયલટ સુધી પહોંચી હતી. તેથી આજના જમાનામાં નારી માટે કશું પણ અશક્ય નહીં હોવાનું તેમણે દાખલા અને દલીલો સાથે સમજાવ્યું હતું.
શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય એ સશક્તિકરણનો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે, કોઈના પણ વગર આ દેશની મહિલા પોતાની જીંદગી પસાર કરી શકે, બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે અને બીજી અન્યમહિલાઓની મદદ કરી શકે એટલે સશક્તિકરણ. તેમણે મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, અંધારી રાત બાદ પ્રકાશ તો આવે જ છે. દરેક મહિલાઓએ ખુશ રહીને જીવવાની જરૂરીયાત છે, દરેક વાતમાં ફક્ત ફરિયાદ જ કરવાની આદત રાખવાની નથી, આપણને એવું લાગે છે કે આપણી વાત દરેક સાંભળે તે રીતે આપણે પણ ખાસ કરીને આપણા પતિ અને સાસુની વાત સાંભળવાની આદત પાડવી પડશે. તેમણે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પણ પાઠવી હતી.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવે પોતાના સ્વાગત વક્તવ્યમાં કેન્દ્ર સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની યોજનાઓથી મહિલાઓના સશક્તિકરણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા.
સ્કૂલ અને કોલેજમાં અવ્વલ રહેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત પણ કરાયા હતા.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ, દાનહ જિ.પં.ના અધ્યક્ષ શ્રીમતી નિશા ભવર, દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, દાનહના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ,કર્મચારીઓ, શિક્ષકો, આંગણવાડી બહેનો તથા મોટી સંખ્યામાં એનજીઓ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.