(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.13: વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી.
ચીખલી તાલુકાના વંકાલ ગામના પૂર્વ સરપંચ દીપકભાઈ ધનજીભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, મદદનીશ, ભૂસ્તર શાષાી સહિતનાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવાયા છે કે વંકાલ ગામે વાણિયાતળાવ વિસ્તારમાં બ્લોક નંબર 2276 વાળા તળાવમાંથી કોઈપણ જાતની મંજૂરી વિના શનિ-રવિની રજા દરમ્યાન મોટાપાયે માટીનું ખોદકામ કરવામાં આવેલ છે. ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ તળાવમાંથીમોટા પાયે માટીનું ખોદકામ કરી રોયલ્ટી પેટે સરકારની તિજોરીને આર્થિક નુકશાન કરવામાં આવેલ છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી દ્વારા કોઈપણ રિપોર્ટ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી કે ખાણ ખનીજમાં કરવામાં આવેલ ન હોવાનું અમોને જાણવા મળેલ છે. ત્યારે વાણિયા તળાવના તળાવમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના કોના દ્વારા માટીનું ખોદકામ કરવામાં આવ્યું ? અને આ માટી કયાં નાંખવામાં આવી તેની તપાસ કરી આ માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વંકાલના માજી સરપંચ દિકપભાઈની તળાવમાંથી ગેરકાયદેસરની માટી ખનનની લેખિત રજૂઆતમાં તંત્ર તપાસ કરી કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.