(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામની જીઆઈડીસીના સેકન્ડ ફેસ વિસ્તારમાં કાર્યરત એસ.એન. એગ્રોફૂડ કંપનીમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની વિકરાળતા અને તીવ્રતા જોતા કામદારો અને આજુબાજુવિસ્તારમાં ભયના વાતાવરણ સાથે દોડધામ મચી જવા પામી હતી.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉમરગામ સેકન્ડ ફેસ વિસ્તારમાં પ્લોટ નં.સી1/174 માં આવેલી ફરસાણ બનાવતી એસ.એન. એગ્રો ફૂડ કંપનીમાં મંગળવારે સવારે સાત વાગ્યાના અરસામાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ જીઆઈડીસી ફાયર વિભાગ અને ઉમરગામ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ઘસી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ આગ ઉપર કાબુ મેળવવા સફળ થઈ હતી. આજની ઘટનામાં જાનહાની કે ઈજાગ્રસ્ત થવાની ઘટના પ્રકાશમાં આવી નથી. પરંતુ કંપનીમાં રાખેલ ખાદ્ય સામગ્રીનો જથ્થો તેમજ રો-મટીરીયલ વગેરે આગની લપેટમાં ખાક થઈ જવા પામી હતી તેમજ મશીનરી સહિતની સામગ્રીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.