(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાના મુખ્યત્વે નેશનલ હાઈવે 56 પર દર વર્ષે ચોમાસામાં વાપીથી ખાનપુર સુધી વાપી-શામળાજી હાઈવે 848 નાનાપોંઢાથી કપરાડા પર જોગવેલ કુંભઘાટ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થાય છે. હાલમાં પણ ચોમાસા પછી જે પણ ખાડા પડયા હતા એમાં ફકત થીંગડા મારવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી અન્ય રાજ્યો સાથે ઉદ્યોગ સાથે વાહનવ્યવહાર સતત 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતો આ હાઈવે પર દર વર્ષે પડતા મસમોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો થતા હોય છે. જોગવેલ માંડવા કુંભઘાટમાં કાયમી અકસ્માતની ઘટના બને છે. છતાં પણ હાઈવે ઓથોરિટીની ઊંઘ ઊડતી નહીં હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. હાલે પણ અનેક અકસ્માત થઈ રહ્યા છે. ચોમાસું પછી સ્થાનિક લોકોનો વિરોધબાદ હાઈવે ઓથોરિટી દ્વારા અમુક ખાડાઓ પુરી સંતોષ માન્યો હતો. જોકે મોટાભાગના ખાડાઓ જૈસે થે ની સ્થિતિમાં હતા. આજે પણ એજ પરિસ્થિતિમાં છે. ચોમાસું બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પણ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાયુક્ત મટિરિયલ થિંગડા મારેલા ખાડાઓ પુનઃજીવિત થયા હતા અને ફરી એકવાર વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાડાઓને કારણે વાપીથી મોટાપોઢા, નાનાપોંઢા, ધરમપુર, ખાનપુર સુધીમાં અંતર કાપવામાં વાહનચાલકોને માથાનો દુઃખાવા સમાન લાગી રહ્યું છે. હાઈવે તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત મટિરિયલ વાપરી ટકાઉ રસ્તા બનાવી દર વર્ષે પડતી સમસ્યાનું કાયમી નિરાકરણ કેમ કરાતું નથી ?
ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરીના નામે માત્ર રિકાર્પેટિંગ તેમજ રસ્તાઓ પર થિંગડા મારી કરોડોનો ખર્ચ શા માટે કરવામાં આવી છે. હાલમાં ધરમપુર, મોટાપોંઢા સુધીમાં અમુક જગ્યાએ કામ કરવા આવી રહ્યુ છે. પણ વહીવટી તંત્ર પાસે વર્ષોથી જ્યાં પણ ચોમાસામાં ખાડા પડે એની ચોક્કસ માહિતી નથી. જે પણ અધિકારીઓ આવે એ ઈન્ચાર્જ હોઈ છે. કાયમી જવાબદાર અધિકારીની નિમણુંક કેમ આપવામાં આવતી નથી. એના પરથી ચોક્કસ કહી શકાય કોન્ટ્રાક્ટરની મનમાનીહોઈ શકે છે. અકસ્માતની ઘટના બનતી હોય ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જાયો હોઈ તો જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એ જરૂરી છે. કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટમાં નાખવા જોઈએ એવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વાપીથી ખાનપુર સુધી અનેક જગ્યાએ ખાડાઓ પડતા અનેક વાહનચાલકો પટકાઈ રહ્યા છે. રસ્તા બાબતે નેશનલ હાઈવે તંત્ર કાયમી નિરાકરણ કરવામાં વામળા પુરવાર થઈ રહ્યાં છે. ખાડાઓને કારણે અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે તેમજ સમયનો બગાડ તેમજ વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવામાં આવે એ જરૂરી છે. વાપી-ખાનપુર હાઈવે પર દર વર્ષે ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થાય છે. દર વર્ષે આ સમસ્યા ઉભી થાય છે, સરકાર અને હાઈવે ઓથોરિટી પાસે આ બાબતે કાયમી નિરાકરણનું કોઈ આયોજન નથી. જેથી થીંગડા મારી કરોડો રૂપિયા વેડફી રહ્યાં છે.