૨ વર્ષના MOU મુજબ રિપેર અને રિનોવેશન માટે પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫ લાખ C.S.R. ફંડ હેઠળ આપશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના ધરાસણા ખાતે સંપૂર્ણ અહિંસક મીઠા સત્યાગ્રહની યાદગીરી રૂપે વર્ષ ૧૯૭૮માં મીઠા સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ સ્મારકના નિર્માણને ૪૫ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારકના રિનોવેશન અને રીપેરિંગ કામ માટે ગુજરાત સરકાર (કલેક્ટર કચેરી, વલસાડ) અને પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાપી વચ્ચે કામગીરી શરૂ થયાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે MOU(Mamorandum Of Understanding ) કરાર કરવામાં આવ્યા છે. જે અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્મારકના પુન: નિર્માણ માટે આપવામાં આવેલા રૂ.૮૦.૯૬ લાખના એસ્ટિમેટની સામે મહત્તમ રૂ.૩૫ લાખ જેટલી રકમ પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા C.S.R. ફંડ હેઠળ આપવામાં આવશે.
આ MOU અનુસાર સ્મારકના રિનોવેશનમાં બાધકામની મુખ્ય કામગીરી વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દ્વારા કરાશે. આર. એન્ડ બી. વિભાગના ઈજનેરો સાથે પીડિલાઈટના એક્ષ્પર્ટ ઈજનેરોની ટીમ સમયાંતરે સ્થળની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરતા રહેશે.