(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલીમાં રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ કરાઈ રહેલ બસ સ્ટેશનના કામમાં હલકી કક્ષાની રેતી સહિતના માલસામાનનો ઉપયોગ કરવામાં આવતા કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
ચીખલી એસટી બસસ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ સુવિધા સફર નવીન બસ સ્ટેશનના બાંધકામમાં ખાસ કરીને ધૂળ વાળી મેલી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુણવત્તા વિનાની રેતીનો બાંધકામ અને કોન્ક્રીટમાં ઉપયોગથી કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. આ ઉપરાંત હાલે જ કોલમ ઉભા કરવામાં આવ્યા છે તેના પાયામાં રબલનું આવરણ પણ નજરે પડતું નથી ત્યારે ફાઉન્ડેશનની ડિઝાઈનમાં રબલ સોલિંગની જોગવાઈ જ નથી કરવામાં આવી કે પછી જોગવાઈ હોવા છતાં રબલ નાખવામાં નથી આવ્યા તે તપાસનો વિષય છે. પરંતુ હાલે જે રીતે બાંધકામ થઈ રહ્યું છે. તે જોતા તકલાદી કામની ભીતી સેવાય રહી છે. એસટી તંત્રના જવાબદાર અધિકારીઓની પૂરતી દેખરેખનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
ઉપરોક્ત સ્થિતિમાં ડિઝાઈનમાં નિયત કરાયેલ જોગવાઈ મુજબનું માલ-સામાન વાપરી તેનું પ્રમાણ પણ જાળવવામાં આવે અને સરકારની લાખો રૂપિયાના ખર્ચેનો ખરા અર્થમાં લોકોને લાભ મળે તે રીતે ગુણવત્તા યુક્ત કામ થાય તેની તકેદારી જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવે તે જરૂરી છે.