આ પહેલાં ગલોન્ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે બાબતે જવાબદાર એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાની ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના ગલોન્ડા પટેલાદના અથોલા ગામના તૂરી ફળિયા વિસ્તારમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા નદીમાંથી પાણીનો ઉપયોગ કરી ફરી ખુલ્લેઆમ કેમિકલવાળુ પાણી છોડવાને કારણે પાણીમાં રહેલ તમામ માછલીઓના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ગલોન્ડા પટેલાદના આજુબાજુના વિસ્તારમાં આવેલી કંપનીઓ દ્વારા નદીઓમાંથી પાણીનો તેમના માટે ઉપયોગ કરે અને ફરી પાછા કેમિકલયુક્ત પાણી આ પાણી નદી-ખાડીમાં છોડી દેતા હોય છે. ઉપરાંત નદીઓનું પાણી ગામના લોકો ખેતી માટે ઉપયોગમાં લે છે અને ગામના લોકો દૈનિક ઉપયોગ માટે પણ લેતા હતા, પરંતુ કંપનીઓ દ્વારા ગંદુ અને કેમિકલવાળું પાણી છોડવાને કારણે હાલમાં પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, બળદ, બકરીઓ પણ આ પાણી પી રહ્યા નથી. આ કેમિકલવાળાપાણીના કારણે આજુબાજુના વિસ્તારના બોરિંગોના પાણી પણ દૂષિત થઈ ગયા છે અને તે પણ પીવાલાયક રહ્યું નથી.
આ સમસ્યા અંગે ગલોન્ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રશાસન દ્વારા પણ કોઈપણ પ્રકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના કારણે કંપનીઓ ધમધોકાર કેમિકલવાળા પાણી નદી, નાળાઓમાં છોડી રહ્યા છે. પરિણામે આજે કેમિકલયુક્ત પાણીના કારણે ગલોન્ડા વિસ્તારમાં નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. દાનહ પ્રશાસન દ્વારા સ્થાનિક ગ્રામજનોના આ પ્રશ્ન અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.