Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

કાર્બન ઉત્સર્જનને કારણે થતુ વાયુ પરિવર્તન માનવજાત માટે ખતરારૂપ હોવાથી વર્ષ ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બનની દિશામાં પ્રયાણઃ મંત્રી કનુભાઈ દેસાઈ

વિન્ડ પાવર ક્ષેત્રે ૧૦ હજાર મેગા વોટ સાથે ગુજરાત દેશમાં નંબર વન અને સોલાર પાવરમાં ૯૩૦૦ મેગા વોટ સાથે બીજા નંબરે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ

સાંસ્કૃતિક વનોના નિર્માણને પગલે લોકોમાં વૃક્ષો પ્રત્યે આસ્થા વધી અને ૩૩ ટકા ભાગ વૃક્ષોથી આચ્છાદિત થયો

વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના સાધનો તેમજ ચેકનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું

પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર જીવદયા પ્રેમીઓ અને સંસ્થાના સંચાલકોનું સન્માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.0૫: વલસાડ જિલ્લા કક્ષાના ૭૪માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીના નામધા ખાતે રોફેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વન મહોત્સવના પ્રણેતાને યાદ કરી જણાવ્યું કે, વર્ષ ૧૯૫૦માં જ્યારે કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી ત્યારે કલાઈમેટ ચેન્જ કે વાયુ પરિવર્તનનો કોઈ અણસાર ન હતો પરંતુ તેમ છતાં તેમની દીર્ઘદ્રષ્ટીના કારણે આ વિચાર અમલમાં મુકયો જે બદલ તેમને નમન છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ મહોત્સવ માત્ર ગાંધીનગર પૂરતો જ સીમિત ન રહે પરંતુ રાજ્યના દરેક જિલ્લામાં ઉજવાય તે માટે નિર્ણય લીધો હતો. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં બે વાર રાજ્ય કક્ષાનો વન મહોત્સવ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન ઉજવાયો હતો. આપણા જિલ્લાને બાલચોંડી અને કલગામમાં બે સાંસ્કૃતિક વનની ભેટ મળી હતી. જેને લઈ લોકોમાં વૃક્ષો પ્રત્યેની આસ્થા વધતા ઠેર ઠેર વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ગુજરાતના ૩૩ ટકા ભાગમાં વૃક્ષો આચ્છાદિત થયા છે, ત્યારે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં જોડાઈએ એવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
કલાઈમેટ ચેઈન્જ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ કલાઈમેટ ચેઈન્જના ઓથા હેઠળ છે. કાર્બન ઉત્સર્જનના કારણે વાયુ પરિવર્તન થઈ રહ્યું છે. જે માનવજાત માટે ખતરારૂપ છે. કોરોના કાળ બાદ ઓક્સિજન પાર્ક અને વન બનાવવામાં આવ્યા છે. જીનીવા ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન કરવાનું આયોજન કર્યુ છે તેમાં ગુજરાત સૌથી આગળ છે. ઊર્જા વિભાગમાં વિન્ડ પાવર ક્ષેત્રે ૧૦ હજાર મેગા વોટ સાથે ગુજરાત દેશમાં નંબર વન છે. સોલાર પાવરમાં ૯૩૦૦ મેગા વોટ સાથે ગુજરાત બીજા નંબરે છે. જેમનો યશ વડાપ્રધાનશ્રીને જાય છે. તેમણે સોલાર પોલિસી અને વિન્ડ પોલીસી બનાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણી લાઈફ સ્ટાઈલ કેવી હોવી જોઈએ તે અંગે તેમણે મિશન લાઈફની ટીપ્સ આપી છે. જેમાં વાતાવરણને પ્રદૂષિત ન કરવુ, પર્યાવરણ સાચવવુ, મિલેટ્સ (જાડા ધાન્ય)નો ઉપયોગ, જળચર પ્રાણીઓ માટે મિસ્ટી પ્રોજેક્ટ હેઠળ મેન્ગ્રુવના ઝાડ ઉગાડવા સહિતની કામગીરી પર ભાર મુકાયો છે. ગુજરાતની કોઈ પણ જીઆઈડીસીઓમાં એટલા વૃક્ષો નહી હશે જેટલા વૃક્ષો વાપી જીઆઈડીસીમાં છે જે અભિનંદનને પાત્ર છે.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું કે, પર્યાવરણના સંરક્ષણ માટે વન મહોત્સવની ઉજવણી સાર્થક ગણાય રહી છે. વડાપ્રધાનશ્રીના ૫ સંકલ્પો પૈકી વિકસીત ભારતના નિર્માણ માટે આવનારી પેઢીને શુધ્ધ હવા મળે તે દિશામાં આગળ વધવાનું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યનાં વન કવચ વધારવાનું બીડુ ઝડપ્યું છે. જે મુજબ ૧૦ કરોડ ૪૦ લાખ રોપાનું વિતરણ કરાશે. દરેક વ્યકિતએ એક વૃક્ષ અવશ્ય રોપવુ જોઈએ તો ગ્રીન ગુજરાતનો સંકલ્પ સિધ્ધ કરી શકીશું.
વલસાડ-ડાંગના સંસદ સભ્ય ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં પ્રદૂષણનો પ્રશ્ન જટીલ બની રહ્યો છે. ત્યારે આપણા વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ સમગ્ર વિશ્વ પર્યાવરણની જાળવણી માટે જાગૃત બન્યું છે. પારડી તાલુકાના ગોઈમા ગામમાં ૧૪૮ હેકટર ફોરેસ્ટની જમીન પર ટુરીસ્ટ પાર્ક બની શકે તેમ છે, બાજુમાંથી જ કોલક નદી વહે છે. જે બાબતે હકારાત્મક અભિગમ દાખવવા વન વિભાગને સૂચન કર્યુ હતું.
વલસાડ વન વર્તુળના મુખ્ય વન સરંક્ષક મનિશ્વર રાજાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૫૦૦૦ હેકટરમાં ફર્નિચરને ઉપયોગી સાગ અને વાંસ સહિતના ૪૩ લાખ રોપાનું વાવેતર કરાઈ રહ્યું છે. જેથી ૪ વર્ષ બાદ આસમથી વાંસના રોપા લાવવાની જરૂર પડશે નહી. આ સિવાય ૩૧ લાખ રોપા ઉછેર કરી ખેડૂતોને વિતરણ કરાઈ રહ્યા છે. જ્યાં જઈ ન શકાય તેવા ૧૫૦ હેકટરમાં ડ્રોનથી બીજનું વાવેતર કરાયુ છે. ૧ ઝાડ ૧૫૦ લીટર ઓક્સિજન પેદા કરે છે જયારે માણસને દિવસમાં ૬૦૦ લીટર ઓક્સિજનની જરૂર પડે છે. જેથી માનવ જાતના સરંક્ષણ માટે વન અને પર્યાવરણની જાળવણી મહત્વની છે. વધુમાં તેમણે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આર.કે.દેસાઈ કોલેજની વિદ્યાર્થિનીઓએ ખેતી અને પ્રકૃતિ પર આધારિત આદિવાસી નૃત્ય રજૂ કર્યુ હતું. કોલેજ કેમ્પસમાં મંત્રીશ્રી કનુભાઈ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના સાધનો તેમજ ચેકનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયુ હતુ સાથે પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર જીવદયા પ્રેમીઓ અને સંસ્થાના સંચાલકોનું સન્માન પણ કરાયું હતું.
આ પ્રસંગે વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, નામધા ગામના સરપંચ અનિતા પટેલ, વાપી નોટીફાઈડના સંગઠન પ્રમુખ હેમંત પટેલ, જિલ્લા સંગઠનના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પારડી પ્રાંત અધિકારી ડી.જે.વસાવા, વાપી વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ અને રોફેલ કોલેજના ટ્રસ્ટી આશિષ રોય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવારે કર્યુ હતું. જ્યારે આભારવિધિ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સરંક્ષક જીનલ ભટ્ટે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોની અને પ્રો. ડો.રિપલ ટંડેલે કર્યુ હતું.

Related posts

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

વાપી વી.ટી.એ. આયોજીત ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7 યોજાઈ

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

vartmanpravah

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment