ચણવઈની સોસાયટીના રહીશોએ રાત્રે એક કલાક વીજળી બંધ રાખી વૈશ્વિક ઝુંબેશમાં સહભાગી થયા
અતુલની કલ્યાણી સ્કૂલમાં પણ સિગ્નેચર કેમ્પેઈન સાથે સાયક્લોથોનનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27 : દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થઅવરની ઉજવણી થાય છે. પૃથ્વીના બચાવ માટે રાત્રે એક કલાક 8:30 થી 9:30 પોતાના ઘર, ઓફિસ, કારખાના, સ્કૂલ, કોલેજ અને સરકારી કાર્યાલયો જેવી જગ્યાએ બિનજરૂરી લાઈટ સ્વૈચ્છિક રીતે બંધ રાખી વૈશ્વિક ધોરણે ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે ‘પેડલ ફોર ધ પ્લાનેટ’ ના સૂત્ર સાથે ડબલ્યુડબલ્યુએફ ભારત દ્વારા વલસાડમાં ‘અર્થ અવર’ ના કેમ્પેઈન માટે ‘સાયકલોથોન’ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડમાં અર્થ અવર નિમિત્તે લોકોમાં જાગૃતિ ફેલાવવા તા.25 માર્ચે શનિવારે સવારે 6.30 કલાકે સર્કિટ હાઉસથી તિથલ સ્વામિનારાણ મંદિર સુધી સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાયકલ પ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો. અર્થ અવરની ટી-શર્ટ પહેરી તથા દરેક સાયકલ પર પ્લેકાર્ડ લગાવી 10 કિમી સુધી સૌએ સાયકલિંગ કર્યું હતું અને પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના કારણે પર્યાવરણને થતા નુકસાનની અસર થોડા ઘણા અંશે રોકવામાં પોતાનો મહત્વનો ફાળો આપી પર્યાવરણ અંગે જાગૃત થવાની શરૂઆત કરી હતી.
આ અર્થ અવરમાં પર્યાવરણ અંગે જાગૃતિ માટેની ઝુંબેશમાં ડબલ્યુડબલ્યુએફ-ભારત દ્વારા પાન ઈન્ડિયા સાયકલોથનનું આયોજન દેશના મોટા ભાગના રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેમાં બીવાયસીએસ ઈન્ડિયાફાઉન્ડેશન દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડમાં રિજિયોનલ સપોર્ટર તરીકે વલસાડ રેસર્સ ગૃપ (વીઆરજી) અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ (એસએસસી) ના સભ્યોએ ભાગ લઈ સહકાર આપ્યો હતો.
વલસાડના જાણીતા રેડીઓલોજિસ્ટ ડૉ. પિયુષ પટેલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઘેલાએ ફલેગ ઓફ કરી સાઈક્લોથોનને પ્રસ્થાન કરાવી હતી. આ સાયક્લોથોન પૂર્ણ થયા બાદ અતુલની કલ્યાણી શાળામાં પણ અર્થ અવર કેમ્પેઈન હેઠળ વિદ્યાર્થીઓ સાથે સાયકલોથોનનું આયોજન કરાયું હતું. બંને સ્થળે સિગ્નેચર કેમ્પેઈન પણ હાથ ધરાયું હતું. આ સિવાય ચણવઈના ઓસ્વાલ વિલેજ રેસીડેન્સીયલ સોસાયટીના રહીશોએ પણ એક કલાક માટે પોતાના ઘરોની વીજળી બંધ રાખી અર્થ અવર-2023ની ઉજવણીમાં સહભાગી થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન ડબલ્યુડબલ્યુએફ ભારત ગુજરાતના સ્ટેટ હેડ મૌતિકભાઈ દવે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.