(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી નજીકના સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં તકલાદી માલ સામાનનો ઉપયોગ કરી વેઠ ઉતારાતા ગ્રામજનો દ્વારા સરપંચ-તલાટી સાથે સ્થળ પર પંચકયાસ કરી રેતીના સેમ્પલો લઈ કામ અટકાવી દીધું હતું.
ચીખલીના સમરોલી કળાપુલ સ્થિત વિધાકુંજ પ્રાથમિક શાળામાં હાલે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે રૂા.65 લાખના ખર્ચે સાત જેટલા ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં પાયામાં જ નિયત ડિઝાઈન મુજબ પીસીસીની જાડાઈ ન જણાતા અને રેતી પણ દરિયાની ખારી હોવાનું જણાતા ગ્રામજનો દ્વારા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થળ પર પંચકયાસ કરી રેતીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. અને ગ્રામજનો દ્વારા કામ અટકાવી દઈ ટીડીઓ આ અંગેની જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોની સતર્કતાને પગલે સમગ્ર શિક્ષા અભિયાનનોસ્ટાફ દોડતો થઈ ગયો હતો.
સમરોલીના કીર્તિભાઈના જણાવ્યાનુસાર વિધાકુંજ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. રેતી પણ ગુણવત્તા વિનાની ઉપયોગ કરાતા પંચકયાસ કરાવી આ અંગેની જાણ ટીડીઓને કરવામાં આવી છે.
એસએસએના ટીઆરપી જાવેદભાઈના જણાવ્યાનુસાર ગ્રામજનો દ્વારા પાયાના બાંધકામ અંગે પ્રશ્ન ઉઠાવી કામ બંધ કરાવ્યું હતું. આ અંગે ગાંધીનગર રિપોર્ટ કરી પાયામાં રબલ નાંખવા ગાંધીનગરથી મંજૂરી મેળવી પાયાનું બાંધકામ કરવામાં આવશે.