રામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી ભક્તો ભક્તિમાં લીન બન્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: સરીગામ, હિન્દુ ધર્મના આજના રામનવમીના પવિત્ર દિવસે સરીગામ અને ભીલાડ સહિત સમગ્ર ઉમરગામ તાલુકામાં ઠેર-ઠેર રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામ મંદિરોમાં આરતી ભજનો સાથે પૂજા અર્ચના કરી સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું.
ભીલાડ અને સરીગામના હિન્દુ સંગઠન ભાઈઓએ ભવ્ય અને વિરાટ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રાનો પ્રારંભ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરની હાજરી સાથે ભીલાડ પ્લાઝાથી સાંજના ચાર કલાકના સમયે કરવામાંઆવ્યો હતો. આ પગપાળા શોભાયાત્રા ડીજેના તાલે અને ઢોલ તાસાના વાજિંત્રો તેમજ જયશ્રી રામના ગગનચુંબી નારા સાથે ગાજતે વાજતે સરીગામમાં પ્રવેશી હતી જ્યાં રામ મંદિરમાં આરતી કરી સરીગામ ત્રણ રસ્તા ખાતે સમાપન કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનોએ રામ ભક્તોને શરબત અને પાણી પીવડાવી કોમી એકતાનું દ્રષ્ટાંત રજૂ કર્યું હતું.
સરીગામ ભાનુવિલા સોસાયટીમાં મહિલાઓએ મહાપ્રસાદના આયોજન સાથે આરતી અને ભજન સંધ્યા કરી ભક્તિમય બનાવેલું વાતાવરણ
આજના રામ નવમી ના પવિત્ર દિન રામ મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં સરીગામ ભાનુવિલા ખાતે રામ મંદિરમાં સોસાયટીની બહેનોએ મહાપ્રસાદના આયોજન સાથે સમગ્ર દિવસ દરમિયાન ભક્તિના કાર્યક્રમો કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.