(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.30: વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત 29 માર્ચેનગરપાલિકાના સભાખંડમાં પર્યાવરણ વિષય પર સેમિનારનું આયોજન થયું હતું. જેમાં પર્યાવરણ બચાવવા અને એની સુરક્ષા માટે જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત પર્યાવરણ અને વાતાવરણમાં થઈ રહેલા ફેરફાર અંગે લોકજાગૃતિ લાવવા લખમદેવ તળાવ ખાતેથી દોડ યોજવામાં આવી હતી. જેમાં વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપ પ્રમુખ અભયભાઈ નહાર, કારોબારી ચેરમેન મિતેષભાઈ દેસાઈ, નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, નાગરિકો અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અન્ય એક કાર્યક્રમમાં શાળાના બાળકોને પર્યાવરણ જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ યોજાઈ રહેલ જી-20 કાર્યક્રમો અંતર્ગત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રીતેશ વાળંદના માર્ગદર્શનમાં શાળાના બાળકો માટે ડ્રોઇંગ અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ પર્યાવરણ જાગૃતિના ચિત્રો તૈયાર કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત આગામી બીજી એપ્રિલે શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.