(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.31: ઉમરગામ તાલુકાના સોળસુંબા ગંગાનગર વિસ્તારમાં ગતરોજ સાંજના અરસામાં બે વ્યક્તિના મોત થવાની ઘટના બનતા સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની જવા પામ્યું હતું. ખાડ કુવાની સફાઈ માટેખાડામાં ઉતરેલ ચાલીના માલિક મહંમદ હાફીઝ અને ચાલીમાં રહેતો ભાડૂત જોગિન્દરનું ગેસ ગુંગડામણથી મોત થવા પામ્યું હતું. જ્યારે ખાડામાં ઉતરેલ વધુ એક ભાડૂત સુરજનો બચાવ થવા પામ્યો હતો.
આ ઘટનામાં પોલીસ તંત્રએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોળસુંબા ગંગાનગર વિસ્તારમાં આવેલી સાત જેટલી રૂમોના ઉપયોગમાં આવતા ખાળકૂવાની સફાઈ કામગીરી ચાલી રહી હતી. ચાલીના માલિક મહમદ હાફિઝ અને ભાડૂત સુરજ કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન બીજા બે ભાડૂત રાજેન્દ્ર અને જોગિન્દર મદદમાં જોડાયા હતા. ખાળકુવાના કચરાને એક ખાડામાંથી બીજા ખાડામાં પસાર કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ખાડામાં ઉતરેલા જોગિન્દર અને સુરજ ગુંગળામણના કારણે તકલીફમાં મુકાઈ ગયા હતા. અને સુરજ પડી જવા પામ્યો હતો. જેના બચાવમાં ચાલી માલિક મોહમ્મદ હાફિઝ પણ ખાડામાં ઉતર્યો હતો. અને તે પણ ગુંગળામણના કારણે ગંભીર પરિસ્થિતિમાં આવી જવા પામ્યો હતો. આ સમય દરમિયાન બચાવ માટે દોરડુંનો સહારો આપતા સુરજ નામનો વ્યક્તિ બહાર આવી જતા બચી જવા પામ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.