રોકડ રૂા.15 હજારનો પણ ફટકારેલો દંડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામે વર્ષ 2015માં એક મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમ્યાન એનું મોત થયું હતું. આ ઘટનામાં મહિલાના પતિને ડીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી છે સાથે 15 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર અશરફદેવી ઉર્ફે સરિતા બનારસી વિશ્વકર્મા (ઉ.વ.20) રહેવાસી બલિયાભાઈની ચાલ, મેઢાપાડા, સાયલી જેને 25/09/2015ના રોજ ગંભીર હાલતમા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. એ સમયે એના પતિ બનારસી ધર્મરાજ વિશ્વકર્માએ જણાવેલ કે સરિતા પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે ત્યારબાદ સરિતાના સગાઓએ સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોંચી શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે મહિલાને દહેજના માટે હેરાન કરતો હોવાને કારણે એનું મોત થયું છે અને કાર્યકારી મેજિસ્ટ્રેટ નીતિન જિંદાલ આરડીસીએ સરિતાનાપતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સેલવાસ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 304(બી), 34મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સાયલી આઉટ પોસ્ટના પીએસઆઇ શ્રીમતી છાયાબેન ટંડેલને સોપવામાં આવી હતી. તપાસ દરમ્યાન બનારસી ધર્મરાજ વિશ્વકર્મા રહેવાસી મેઢાપાડા, સાયલી, મુળ રહેવાસી મોતીબન, જી. સોનભરૂ, ઉત્તરપ્રદેશ જેની ધરપકડ કરી એના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દરમ્યાન આઇપીસીની ધારા 302 દાખલ કરવામા આવી હતી.
આ કેસની સુનાવણી માનનીય સત્ર ન્યાયાલય સેલવાસ સમક્ષ શરૂ કરવામાં આવી હતી. જેમાં પુરાવા અને જામીનદારોના નિવેદનના આધારે એડવોકેટ શ્રી ગોરધન પુરોહિત દ્વારા ધારદાર દલીલ બાદ માનનીય સત્ર ન્યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે આરોપીને ધારા 302 મુજબ આજીવન કેદ અને રૂા.15 હજારના દંડની સખત સજા સંભળાવવામાં આવી હતી.