સંઘપ્રદેશના આરોગ્ય સલાહકાર ડો. વી.કે.દાસે દમણ અને દાનહના ચીફ મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશોઃ લોકોને જાગૃત કરવા શરૂ કરાયેલું અભિયાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ડેંગ્યુના રોગચાળાને કાબુમાં લેવા માટે પ્રદેશના આરોગ્ય સલાહકાર ડૉ. વી.કે.દાસે સંભાળેલા મોરચા અંતર્ગત આજે સવારે દમણમાં દમણ જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર, તમામ મેડિકલ ઓફિસરો તથા સામુદાયિક આરોગ્ય અધિકારીઓની બેઠક લઈ તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી અને ડેંગ્યુના નિયંત્રણમાટે ચાલી રહેલા અભિયાનને સફળ બનાવવા માટે યોગ્ય દિશા-નિર્દેશ પણ આપ્યા હતા. સાંજે તેમણે દાદરા નગર હવેલીના ચીફ મેડિકલ ઓફિસર, દરેક મેડિકલ ઓફિસર અને આરોગ્ય અધિકારીઓની ઓનલાઈન બેઠક લઈ જિલ્લામાં ચાલી રહેલા કાર્યની માહિતી મેળવી હતી.
પ્રદેશના યુવાનોમાં ડેંગ્યુની બાબતમાં જાગૃતિ ફેલાવવા માટે સેલવાસની એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ ખાતે આરોગ્ય અધિકારીઓ દ્વારા ડેંગ્યુના રોગચાળાની માહિતી આપતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને યુવાનોને આ અભિયાનમાં જોડાવા તથા પોતાના ઘરોની આસપાસ સાફ-સફાઈ રાખવા અને મચ્છરોના પ્રજનન સ્થળને નષ્ટ કરવા પ્રેરિત કરાયા હતા.
આ અંગે વધુ માહિતી આપતાં પ્રદેશના આરોગ્ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે.દાસે જણાવ્યું હતું કે, ડેંગ્યુની રોકથામ એક જન અભિયાન છે. જેમાં પ્રદેશના દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવશે તો આપણે ખુબ જલ્દીથી આ બિમારીથી મુક્તિ પામીશું. તેથી તેમણે પ્રદેશના નાગરિકોને પોતાના ઘરની આજુબાજુમાં સાફ-સફાઈ રાખવા અને મચ્છરોના પ્રજનન સ્થળોને નષ્ટ કરવા આરોગ્ય વિભાગને સહયોગ આપવા અપીલ કરી હતી. જો કોઈમાં ડેંગ્યુની બિમારીના લક્ષણ જોવા મળે તો પોતે દવા લેવાની જગ્યાએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈ પોતાની તપાસ અને સારવારકરાવવા પણ જણાવાયું છે. ડેંગ્યુની બાબતમાં વધુ જાણકારી માટે આરોગ્ય કર્મી અથવા ટોલ ફ્રી નંબર 104 ઉપર સંપર્ક કરવા પણ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.