(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી હતી.
ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ કે જે સતત વાહન વ્યવહારથી ધમધમતો હોય છે અને આ માર્ગ ઉપર ચીખલી રાનકુવા વચ્ચેના અંતરમાં ક્વોરી ઉદ્યોગ ધમધમતો હોય ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોય છે. ત્યારે આ માર્ગ ઉપર ચીખલી રેફરલ હોસ્પિટલ પાસે દરગાહ, થાલા બગલાદેવ મંદિર, ખૂંધ સાતપીપળા પાસે હનુમાનજી મંદિર સહિતના રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્થળો દૂર કરવામાં વર્ષોથી તંત્ર સફળ રહ્યું નથી.
આ દરમ્યાન પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં મામલતદાર રોશનીબેન પટેલ, પીએસઆઈ સમીરભાઈ કડીવાલા, માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈ, સામાજિક વનીકરણ, સિટી સર્વે સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં હિન્દુ, મુસ્લિમ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજી આ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. દેશની વડી અદાલતની ગાઈડલાઈનઉપરાંત માર્ગની પહોળાઈ વધારાતા આ ધાર્મિક સ્થળો નડતરરૂપ હોય તેને દૂર કરવા જરૂરી હોય તેવા સંજોગોમાં બંને સમુદાયના આગેવાનોના અભિપ્રાય મેળવી આ ધાર્મિક સ્થળો દૂર કરવા જરૂરી ધાર્મિક ક્રિયા કરવી પડતી હોય તે પણ કરવા માટે જણાવ્યું હતું. અને આગામી 3, 4 મે સુધીમાં દરગાહ, મંદિર સહિતના ધાર્મિક સ્થળો દૂર કરવાનું આયોજન હાથ ધરાયુ હતું.
ચીખલી, ખૂંધ, થાલામાં ધાર્મિક સ્થળો હિન્દૂ-મુસ્લિમ બન્ને સમુદાયના સહયોગથી સાનુકૂળ વાતાવરણમાં દૂર થાય તે પ્રકારની કવાયત સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ચીખલી, થાલા, ખૂંધમાં ધાર્મિક સ્થળો કે જે રોડ માર્જિનમાં હોવા સાથે આ વર્ષો જૂનો પ્રશ્નના નિરાકરણ માટે ભૂતકાળમાં પણ તંત્ર દ્વારા પ્રયત્ન હાથ ધરાયા હતા. ત્યારે હાલે સફળતા મળશે કે કેમ તે જોવું રહ્યું.