(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી કલ્યાણક દિન તરીકે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્વેતામ્બર દિગંબર તેરાપંથી અને સ્થાનકવાસી દેરાસરોમાં વિશેષ પૂજન અને અભિષેક બાદ સંયુક્ત શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આમલી બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસરથી પાર્ヘનાથ યુવા મંડળ, અખિલ ભારતીય પુલન જૈન ચેતના મંચના ધર્મપ્રેમીઓ દ્વારા સવારે 6:00 વાગ્યે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સામુહિક અભિષેક તથા પૂજન બાદ વાજતે ગાજતે સંયુક્ત પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી પરત બાલાજી ટાઉનશીપ દેરાસર પર પરત આવી પહોંચી હતી. ત્યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શોભાયાત્રા બાદ આચાર્ય વિજયયુગચંદ સુરીશ્વર મહારાજનો પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરીશ્વર મહારાજે જૈન સિદ્ધાંતોનું સુંદર વર્ણન કરી જૈન ધર્મના અનુયાયીઓને સત્ય, અહિંસા અને નિષ્કામ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે દેશમાં થઈ રહેલા લોક વિકાસ અને સનાતન ધર્મના હિતોનાકાર્યોની પણ સરાહના કરી હતી. આ અવસરે એસ.ડી.પી.ઓ. સિદ્ધાર્થ જૈન, જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.