મકાનના પગથિયાં તેમજ દીવાલો – પીલ્લરો પર મસમોટી તીરાડો પડી જવાથી પરિસ્થિતિ જોખમાય જતાં તપાસમાં આવતી સગર્ભા મહિલાઓ તેમજ નાના ભૂલકાંઓને રસીકરણમાં લવાતા ભયભીત વાતાવરણમાં આરોગ્ય સેવા લેવાની ફરજ પડતાં દર્દીઓ ભયના ઓથાર હેઠળ મેડિકલ સારવાર લેવાની ફરજ પડી રહી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: કુકેરી અને સુરખાઈમાં આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેશ સેન્ટરના મકાન જર્જરિત થતા દર્દીઓ માટે ભયજનક બનવા સાથે કર્મચારીઓએ પણ ભયના ઓથાર હેઠળ કામ કરવાની નોબત આવી છે.
મકાનના પગથિયાં તેમજ દીવાલો – પીલ્લરો પર મસમોટી તીરાડો પડી જવાથી પરિસ્થિતિ જોખમાય જતાં તપાસમાં આવતી સગર્ભા મહિલાઓ તેમજ નાના ભૂલકાંઓને રસીકરણમાં લવાતા ભયભીત વાતાવરણમાં આરોગ્ય સેવા લેવાની ફરજ પડતાં દર્દીઓ ભયના ઓથાર હેઠળ મેડિકલ સારવાર લેવાની ફરજ પડી રહી છે.
આરોગ્ય વિભાગની પીઆઈયુ શાખા દ્વારા થોડા વર્ષ પૂર્વ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણકરાયેલ અનેક સબ સેન્ટરોના મકાનો બિસ્માર બન્યા છે. કુકેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્ય વિસ્તારમાં આવતા કુકેરી વડ ફળીયા સ્થિત અને સુરખાઈમાં આવેલ આયુષ્યમાન ભારત હેલ્થ વેલનેશ સેન્ટરના મકાનની દીવાલોમાં ઠેર ઠેર તિરાડ જોવા મળી રહી છે. દીવાલમાં લગાવેલ ટાઈલ્સ પણ ઉખડી જવા પામી છે. આ ઉપરાંત છત અને દિવાલમાંથી પ્લાસ્ટરના પોપડા ઉખડી જવા પામ્યા છે.
આ ઉપરાંત આ સબ સેન્ટરના મકાનનો પાયો બેસી જતા ચણતરના જે પિલ્લરો છે. તેમાં પણ મસમોટી તિરાડો પડી છે. અને જેને પગલે સ્લેબ અધ્ધર રહી જાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
સુરખાઈ અને કુકેરી એમ બંને વેલનેશ સેન્ટરોમાં શરદી, ખાંસી, તાવ, બ્લડ પ્રેશર, સુગર વિગેરેના રોજીંદા દર્દીઓ ઉપરાંત સગર્ભા મહિલાઓ પણ આવતી હોય છે. આ ઉપરાંત દર બુધવારે રસીકરણ માટે બાળકો પણ આવતા હોય છે. ત્યારે આ બન્ને વેલનેશ સેન્ટરોના મકાનો જર્જરિત બનતા દર્દીઓના માથે પણ ભયનું વાતાવરણ ફેલાવા પામ્યું છે. અને બીજી ઓથાર હેઠળ ફરજ બજાવવાની નોબત આવી છે. ઉપરોક્ત સ્થિતિમાં બિસ્માર લોકોની સારવાર કરવા પહેલા બિસ્માર થયેલા મકાનની જ સારવાર કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
સરકાર દ્વારા લોકોને ઘર આંગણે આરોગ્યની સુવિધા મળી રહે તે માટે લાખો રૂપિયાનાખર્ચે ગામે ગામ વેલનેશ સેન્ટરોનું નિર્માણ કરાયું હતું. પરંતુ બાંધકામ કરાવનાર પીઆઈયુ શાખાના અધિકારીઓની પૂરતી તકેદારીના અભાવે તકલાદી બાંધકામો થતા ટૂંકા ગાળામાં જ આવી સ્થિતિ ઉભી થઈ છે. વધુમાં આ વિસ્તારમાં જમીનને અનુકૂળ નથી તેવી લોડ બેરિંગની ડિઝાઇનથી બાંધકામ ઉભું કરાતા તે પણ એક મોટું કારણ જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે. સુરખાઈ અને કુકેરી પૈકી સુરખાઈમાં એકવાર તો મરામત પણ કરાઈ હોવા છતાં મકાન જર્જરિત થયું છે. પાયો જ નબળો હોવાથી આ મકાનો વધુ ભયજનક બનશે તેમ લાગી રહ્યું છે.