સેલવાસ રોડથી અડધો કિ.મી.નો રસ્તો જીઆઈડીસી અને પાલિકાના તાબામાં છે. આ રસ્તા ઉપર અનઅધિકૃત બાંધકામ થયા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: ડુંગરા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વસાહતમાં ગેરકાયદે અનેક બાંધકામ અને દબાણોની ભરમાર હોવાથી ડી.આઈ.એ. પાલિકા અને જી.આઈ.ડી.સી.ને દબાણો દૂર કરાવવાની માંગણી કરતી લેખિત રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી ડી.આઈ.એ.ની રજૂઆતની કોઈ નોંધ જ ના લેવાઈ હોય તેમ પડતર પડીરહી છે.
વાપી સેલવાસ રોડથી જી.આઈ.ડી.સી. ડુંગરાને જોડતો અડધો કિલોમીટરનો રોડ પાલિકા અને જી.આઈ.ડી.સી.ના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ રોડ ઉપર ગેરકાયદે મકાનો અને દુકાનોનું વધારે અતિક્રમણ થયું હોવાથી ડુંગરા વસાહતના ઉદ્યોગોને માલ-સામાન અને કાચો માલ લાવવા લઈ જવાની મુશ્કેલી પડે છે તેથી મુખ્ય માર્ગ ઉપરના અનઅધિકૃત દબાણો હટાવવા માટે ગત તા.20 ફેબ્રુઆરીએ ડુંગરા ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ આર.ડી. મોર્યા, વાઈસ પ્રેસિડેન્ટ અનિલ ગુપ્તા, સેક્રેટરી કિરીટ મધાની, ટ્રેઝરર રમેશ પુજારીએ જી.આઈ.ડી.સી. ડિવિઝન મેનેજર, તથા વાપી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં સત્તાધીશોએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ડુંગરાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગંભીર તાકીદ કરી હતી. હવે જોવુ એ રહ્યું છે કે, ડુંગરા વસાહતના ગેરકાયદે દબાણો ક્યારે દૂર થાય છે?