ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ ગજેન્દ્ર યાદવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં વિકાસ કોને કહેવાય તે જોવા સંઘપ્રદેશ આવવા ફેંકેલો પડકાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12: ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્ર યાદવે મંગળવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણથી લઈ આરોગ્યના ક્ષેત્રમાં થયેલ અભૂતપૂર્વ વિકાસ કામો માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ભાવવિભોર બની પ્રશંસા પણ કરી હતી.
ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્ર યાદવે શિક્ષણ અને આરોગ્યના નામ ઉપર ખોટી ખોટી વાહવાહી લૂંટતા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં વિકાસ કોને કહેવાય તે જોવો હોય તો સંઘપ્રદેશ આવે.
અત્રે યાદ રહે કે, ભાજપના રાષ્ટ્રીય ઓબીસી મોર્ચાના કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્ર યાદવ મંગળવારે એક દિવસીય દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય ઓબીસી કાર્યકારિણીના સભ્ય શ્રી વિશાલભાઈ ટંડેલ અને પ્રદેશ ઓબીસી મોર્ચાનાઅધ્યક્ષ શ્રી હરિશ પટેલે ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્ર યાદવને દાદરા નગર હવેલી અને દમણની શાળા, કોલેજ, હેલ્થ વેલનેસ સેન્ટર, જિલ્લા હોસ્પિટલ તથા પ્રવાસન ક્ષેત્રે થયેલ વિકાસના કામો અને પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરાવ્યું હતું.
ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્ર યાદવ સંઘપ્રદેશમાં શિક્ષણ, આરોગ્યથી લઈ પ્રવાસન ક્ષેત્રમાં થયેલ સર્વાંગી વિકાસ કામોથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને આ વિકાસ કામો માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને આયોજનની ખુબ જ દિલથી પ્રશંસા કરી હતી.
પોતાની મુલાકાત દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં થયેલ વિકાસની ખોટી જાણકારી આપી જુઠ્ઠી વાહવાહી લૂંટવાનું કામ કરી રહ્યા હોવાનું જણાવી તેમણે કેજરીવાલને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં થયેલા વિકાસને જોવો હોય તો દાદરા નગર હવેલી અને દમણ-દીવ આવી જોવા અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ પાસે શીખવા ટકોર કરી હતી.