સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ અને યુવા નેતા વિશાલભાઈ ટંડેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના સંદર્ભમાં આપેલું મનનીય માર્ગદર્શનઃ રોડ શોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ગ્રામજનોને આપેલું આમંત્રણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20: આજે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં બારિયાવાડ ખાતે આવેલપૌરાણિક સોપાની માતાના મંદિર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દમણ યાત્રાના ઉપલક્ષમાં મહા આરતીનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય શ્રી વિશાલભાઈ ટંડેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દમણ પ્રત્યે રહેલી કૃપાદૃષ્ટિની વિગતવાર માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહેવા ગ્રામજનોને હાકલ કરી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર કરેલા અનેક ઉપકારોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીની પહેલના કારણે જ આજે પ્રદેશમાં મેડિકલ, એન્જિનિયરીંગ સહિતની અનેક કોલેજો ખુલી ગઈ છે. તેથી પ્રધાનમંત્રી પ્રત્યે આભાર પ્રગટ કરવા મોટી સંખ્યામાં રોડ શોમાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે વિશ્વના નેતા એવા યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે આપણાં આંગણે આવી રહ્યા છે ત્યારે તેમને વધાવવા અને રોડ શોમાં હાજર રહેવા ગ્રામજનોને અપીલ કરી હતી.
પ્રારંભમાં દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતની પ્રસ્તાવના જણાવી હતીઅને બારિયાવાડ સમાજના અધ્યક્ષ એડવોકેટ શ્રી રાજુભાઈ બારીએ ગ્રામજનો વતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વચન આપ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગામના શિક્ષક શ્રી ગૌરવ બારી, શ્રી પપ્પુભાઈ (હરેશભાઈ) બારી, શ્રી રવુભાઈ બારી, વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.