(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને સત્કારવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ‘અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાનહ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશની તમામ 278 શાળાઓના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું અને તમામ શાળાઓમાં ‘વેલકમ મોદીજી’ મેગા રંગોળી બનાવવામાં આવી હતી. સાથે શાળાને રંગબેરંગી લાઈટીંગથી શણગારવામાં આવી છે. નરોલી ચાર રસ્તા ઓરિયન ઇમ્પીરીયા મોલ, સેલવાસ ટોકરખાડા લેન્ડમાર્ક મોલ, દાદરા પંચાયતની બાજુમાં, રખોલી ત્રણ રસ્તા, ખાનવેલ ચાર રસ્તા અને દૂધની પંચાયતની બાજુમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ લોક નૃત્ય, પ્રાદેશિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
નરોલી પંચાયતમાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીના સ્વાગત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ અવસરે નરોલી પંચાયતના સરપંચ શ્રીમતીલીલાબેન પટેલ, એડવોકેટ સની ભિમરા, ભાજપા યુવા મોરચાના શ્રી વિશ્વરાજસિંહ દોડીયા, શ્રી અવધેશ ચૌહાણ, પંચાયત સભ્ય શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રીમતી જુલી સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.