(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષ થવાને આરે છે. છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી. ખેડૂતોની જમીનના 7-12 ના ઉતારામાં જમીન સંપાદન અંગેની પાડવામાં આવેલ ફેરફાર નોંધ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલયનું ધોરીમાર્ગ માટે જમીન સંપાદિત કરવાના હેતુથી સક્ષમ અધિકારી અને નાયબકલેકટર નવસારી દ્વારા ગત 19-મે 2022 ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. ભારતમાલા અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટેની જમીન સંપાદન માટે ચીખલી તાલુકાના બોડવાંક ગામના-6, કાકડવેલના-26, માંડવખડકના-27, નોગામાના-73, વાંઝણાના-42, ટાંકલના-87, સુરખાઈ-19, સારવણી-98, રાનવેરી કિલ્લાના-35 અને સૌથી વધુ કુકેરીના 272 મળી કુલ 10-જેટલા ગામના 685 જેટલા બ્લોક નંબરોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો હતો.
જાહેરનામા બાદ નિયત 21 દિવસમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વાંધાઓ રજૂ કરી દેવાયા હતા. પરંતુ ખેડૂતોની વાંધા અરજી અંગે તેમને સાંભળ્યા વિના જ સબંધિત બ્લોક નંબરોનો 7-12 ના ઉતારામાં જમીન સંપદાનની ફેરફાર નોંધ પાડી દેવાઈ હતી. હવે જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે. તેમ છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી. અને આમ પણ જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષમાં કામગીરી ન થાય તેવા સંજોગોમાં આ જાહેરનામું માન્ય રહેતું નથી અને નવેસરથી જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું થતું હોય છે.
જોકે ખેડૂતોના 7-12 ના ઉતારામાં જમીન સંપાદનની ફેરફાર નોંધથી ખેડૂતો આ જમીન ઉપર લોન લઈ શકતા નથી કે અન્ય કોઈ રીતે વિકાસ કરવો હોય તે શકય નથી.તેવા સંજોગોમાં હાઈવેની લાઈનદોરીમાં કોઈ ફેરફાર હોય કે પછી જમીન સંપાદિત ન કરવાની હોય તો 7-12 ના ઉતારામાંથી આ એન્ટ્રી રદ કરવી જોઈએ તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે.
કુકેરીના ખેડૂત અમ્રતસિંહ લલ્લુસિંહ પરમારના જણાવ્યાનુસાર સુરત-નાસિક હાઈવે માટે અમારી જમીનના 7-12 ના ઉતારામાં ફેરફાર નોંધ પાડી દેવાઈ હતી. પરંતુ હજુસુધી જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ થઈ નથી. ત્યારે આ એન્ટ્રી રદ કરવી જોઈએ અથવા તંત્રએ આ માટે જરૂરી સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.
નવસારીના પ્રાંત અધિકારી રાજેશભાઈ બોરડના જણાવ્યાનુસાર સુરત-નાસિક હાઈવેની કામગીરી હાલે હોલ્ટ પર છે. જાહેરનામાની એક વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે ફરી 3-ડી જાહેરનામું પ્રસિધ્ધ કરાશે. લાઈન દોરી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સને 7-12 ના ઉતારામાંની ફેરફાર નોંધ પ્રોજેકટ રદ થશે તો થશે.
સુરત-નાસિક હાઈવેની લાઈન દોરી બદલાવાની ચર્ચા વચ્ચે કહી ખુશી કહી ગમ જેવો ઘાટ સર્જાયો છે. જોકે સરકાર દ્વારા લાઈન દોરી બદલવા અંગેનો કોઈ નિર્ણય જાહેર કરાયો નથી. માત્ર હાલે આવી ચર્ચા ખેડૂત આલમમાં ઉઠવા પામી છે. પરંતુ કેટલાકે તો વળતરની રકમ ગણતરી પણ કરી નાંખી હતી. તો બીજી તરફ વિરોધ પણ કરાયો હતો.વધુમાં ખેડૂતોને વધુ વળતર માટે લડત ચલાવવા માટે કેટલાક બની બેસેલા નેતાઓ પણ સક્રિય થઈ ગયા હતા. અને લડત માટે ચોરસમીટર દીઠ રકમ નક્કી કરી ઉઘરાણી પણ શરૂ કરાઈ હતી. ત્યારે હાલના સંજોગોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે.