૫ જેટલા કામદારોએ પોતાનો જીવ બચાવવા ત્રીજા માળેથી મારેલો કૂદકો, જેમાંથી ૨ કામદારોને પહોંચેલી ગંભીર ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૧: સંઘપ્રદેશ દમણના ડાભેલ ગામે આવેલી કંપનીમાં ગઈકાલે રવિવારે રાત્રે આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જેના પરિણામે કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ૫ જેટલા કામદારોએ જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેમાંથી ૨ કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.
ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ દમણના ડાભેલ ગામે આટિયાવાડ ખાતે યાર્નનું ઉત્પાદન કરતી રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ. નામક કંપની આવેલી છે. આ કંપનીમાં ગઈકાલે રવિવારે મધરાતે અચાનક આગ સળગી ઉઠી હતી. યાર્નના જથ્થાને કારણે આગ આગ વધુ તિવ્ર બનતા જાેતજાેતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉપરાંત આસપાસમાં રહેતા લોકો દોડી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઈ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
આગને પગલે દમણ, સેલવાસ, વાપી સહિતના વિસ્તારના ફાયર ફાઈટરોના બંબા ઘટના સ્થળે દોડી ગયા હતા. લાશકરોએ ભીષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ત્રણથી ચાર ક્લાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
જાે કે કોઈ જાનહાની થઈ ન હતી. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ કારણ બહાર આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવાયું છે. ત્યારે એફ.એસ.એલ. રિપોર્ટ બાદ જ આગ લાગવાનું કારણ બહાર આવી શકશે. જ્યારે ભીષણ આગને પગલે કંપનીને ભારે નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો છે.