(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં મુખ્યમાર્ગ સ્થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્થળો ખસડવા માટે પ્રાંત અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી કવાયત તેજ કરી દેવામાં આવી હતી.
ચીખલી-વાંસદા રોડ ઉપર હાઈવે ચાર રસ્તાથી બામણવેલ સુધીની લંબાઈમાં રેફરલ હોસ્પિટલની સામે આવેલ દરગાહ, થાલા બગલાદેવ મંદિર, ખૂંધ સાત પીપળા સ્થિત હનુમાનજી દાદાનું મંદિર સહિતના ધાર્મિક સ્થળો ખસેડવા માટે થોડા દિવસ પૂર્વે પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી દ્વારા સબંધિત વિભાગોના પ્રતિનિધિઓ, હિન્દૂ-મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ દરમ્યાન સોમવારના રોજ સાંજના સમયે પ્રાંત અધિકારી દ્વારા માર્ગ મકાન નાયબ કાર્યપાલક ઈજનેર, પીઆઈ સહિતનાની ઉપસ્થિતિમાં ખૂંધ સાત પીપળા સ્થિત મંદિરની મુલાકત લઈ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી માપણી કરાવી હતી. આ મંદિરના સેવક ભાણાભાઈ હળપતિની રજૂઆતો સાંભળી સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનેઅકસ્માતોના બનાવોને ધ્યાનમાં લઈ આ ધાર્મિક સ્થળો હટાવવાની ફરજ પડી હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત ચીખલી રેફરલ હોસ્પિટલ સ્થિત દરગાહનું પણ સ્થળ નિરીક્ષણ પ્રાંત અધિકારી દ્વારા કરાયું હતું.
ચીખલીમાં મુખ્યમાર્ગ સ્થિત આ ધાર્મિક સ્થળો ખસેડવાનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલ્યા છે. આ વખત પ્રાંત અધિકારી આ સ્થળો ખસેડવા મક્કમતાથી આગળ વધી રહ્યા છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં સ્વેચ્છાએ ધાર્મિક વિધિ સાથે આ ધાર્મિક સ્થળો ખસેડાઈ અને વર્ષો જૂના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવે તેવો આશાવાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે.