દાનહ અને દમણ-દીવમાં પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરની વિવાદાસ્પદ ભૂમિકા સામે દાનહના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારોએ પણ ભાજપ હાઈકમાન્ડને કરી હતી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લા 12 કરતાં વધુ વર્ષોથી કાર્યરત શ્રી વિવેક દાઢકરની બદલી અંદામાન અને નિકોબાર ટાપુના પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે કરવાનો આદેશ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ જારી કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંગઠન મહામંત્રી તરીકે શ્રી વિવેક દાઢકરની કાર્યપ્રણાલી સામે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિતના અનેક પદાધિકારીઓએ ભાજપ હાઈકમાન્ડને મૌખિક રજૂઆતો પણ કરી હતી. વર્તમાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ સાથે પણ શ્રીવિવેક દાઢકરની અનેક મુદ્દાઓ ઉપર ચકમક ઝરી હોવાનું ભાજપના કાર્યકરો દ્વારા જાણવા મળે છે.
છેવટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભાજપના સંગઠનને મજબૂત અને અસરકારક બનાવવા માટે સંગઠન મહામંત્રી તરીકે શ્રી વિવેક દાઢકરની નિયુક્તિ કરી હોવાનું સમજાય છે.