-
વર્ષો પહેલાં નરોલી ગામના તબીબ અને સાહિત્યરસિક ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે જમીન દાનમાં આપી પોતાના ખર્ચે લાઈબ્રેરીનું કરેલું નિર્માણઃ નરોલી ગ્રામ પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી હસ્તગત કરાયેલો લાઈબ્રેરીનો વહીવટ
-
લાઈબ્રેરીને તાળા લાગતાં ગામના વાંચકરસિયા વડિલો મહિલા અને યુવાનોને પડી રહેલી તકલીફ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય છેલ્લા બે-ત્રણ મહિનાથી સ્ટાફના અભાવે બંધ હોવાથી ગામની વાંચનપ્રેમી જનતાને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. આ વાંચનાલય વહેલામાં વહેલી તકે પહેલાની માફક શરૂ થાય તેવી માંગણી ગામના નાગરિકો કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી ગામના તબીબ અને સાહિત્યપ્રેમી ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે વર્ષો પહેલાં જમીન દાનમાં આપી પોતાના ખર્ચે એક લાઈબ્રેરી બનાવી હતી. જેનો નિભાવ પણ શરૂઆતમાં તેમના દ્વારા કરવામાં આવતો હતો. ત્યારબાદ આલાઈબ્રેરી અને વાંચનાલયનો વહીવટ નરોલી ગ્રામ પંચાયતને સુપ્રત કર્યા બાદ પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા એક લાઈબ્રેરિયન અને પટાવાળા મારફત આ પુસ્તકાલયનું સંચાલન કરાતું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલીની શાન ગણાતા ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય અને પુસ્તકાલયમાં વિવિધ શ્રેણીના લગભગ 4 હજાર કરતા વધુ પુસ્તકો છે અને દરરોજ વિવિધ અખબારો અને સામાયિકો વાંચવા માટે ગામના વડિલો તથા યુવાનો અને મહિલાઓ નિયમિત મુલાકાત લેતા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી લાઈબ્રેરિયન અને પટાવાળો સેવાનિવૃત્ત થતાં આ પુસ્તકાલયને તાળા લાગી ગયા છે. જેને ફરીથી શરૂ કરાવી ગામલોકોની વાંચનભૂખ સંતોષવા પ્રયાસ કરવા લાગણી પ્રગટ થઈ રહી છે.