એ.સી.બી. પીઆઈએ પોતાના જીવનમાં અનુભવેલા ભ્રષ્ટાચારના કિસ્સા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આઈ.સી.ટી. ટેક્નોલોજી,આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ,ઓટોમેશનની ઇનોવેટીવ ટેકનિક દ્વારા ભ્રષ્ટાચાર વિરૂધ્ધ યોગદાન આપી શકે છે
અવાજ ઉઠાવો ભ્રષ્ટાચાર વિરૂધ્ધ,૩૫૬ દિવસ ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર લાંચ રૂશ્વત અંગેની ફરિયાદ કરી શકાય છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૫: ‘‘આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત’’ના સ્લોગન સાથે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ અને વલસાડના એન્ટી-કરપ્શન બ્યૂરોના સંયુક્ત ઉપક્રમે ભ્રષ્ટાચારની નકારાત્મક અસરો અને તેનો સામનો કરવાની ઇનોવેટીવ પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું ઉદઘાટન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તથા કેમિકલ વિભાગના વડા ડો. એન. એમ. પટેલે કર્યુ હતું. તેમણે જીવનના તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ નૈતિક મૂલ્યો જરૂરિયાત પર ભાર મુકી કાર્યક્રમના આયોજનમાં કોલેજ અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી જણાવ્યું કે, ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવાની દિશામાં આ એક પગલું હશે.
આ કાર્યક્રમ બે તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ વિભાગમાં સંસ્થાના એસ. એસ. આઈ પી કો-ઓર્ડીનેટર ડો. કે. એલ મોકરીયા દ્વારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આઈ.સી.ટી. ટેક્નોલોજી, આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ,ઓટોમેશનની ઇનોવેટીવ ટેકનિક દ્વારા ભ્રષ્ટાચાર વિરુધ્ધ પોતાનું યોગદાન આપી શકે તે સજાવવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રોજેક્ટ્સના અનેક દ્રષ્ટાંતો આપી ખૂબ જ અસરકારક પ્રેઝન્ટેશન આપ્યું હતું. બીજા સેશનમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના નિષ્ણાત ACB પોલીસ ઈન્સ્પેકટર કે.આર. સકસેનાએ વિડિયો ફિલ્મના માધ્યમથી માહિતીસભર વક્તવ્ય આપી પોતાના જીવનમાં અનુભવેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ અંગે જણાવ્યું હતું. વધુમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારને કેવી રીતે ઓળખી શકાય અને તેને કેવી રીતે અટકાવવો તે અંગે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સલાહ આપી હતી.
બંને સેશન્સ માહિતીપ્રદ અને અરસપરસ હતા અને સહભાગીઓ સક્રિયપણે નિષ્ણાતો સાથે સંકળાયેલા હતા. આવરી લેવામાં આવેલા વિષયોમાં ભ્રષ્ટાચારના કાયદાકીય અને નૈતિક પાસાઓ,ભ્રષ્ટાચારને રોકવામાં વ્યક્તિઓની ભૂમિકા અને ભ્રષ્ટાચારની જાણ કરવા માટેની શ્રેષ્ઠ અને ઇનોવેટીવ પદ્ધતિઓનો અને તેમાં ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓની ભૂમિકા વગેરેનો સમાવેશ થાય છે. ૩૫૬ દિવસ ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર લાંચ રૂશ્વત અંગેની ફરિયાદ કરી શકાય છે. એસ. એસ. આઈ પી., આઈ. આઈ. સી., જી-20 અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આયોજન આચાર્ય ડો. વી. એસ. પુરાણીના માર્ગદર્શન હેઠળ ઇલેક્ટ્રીકલ ખાતાના વડા ડૉ.કે. એલ મોકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિજ્ઞા તથા રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું હતું.