(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત એકમોમાં સર્જાતી ગેસ ગળતર તેમજ આગ લાગવાની ઘટના સમયે ભોગ બનનાર કંપનીઓને મોટું આર્થિક નુકસાન તેમજ કેટલીક ઘટનાઓમાં જાનહાની અને ગંભીર ઈજાઓ જેવી ઘટનાઓ બનવા પામે છે. ખાસ કરીને મોટી હોનારતમાં એકમોમાંસલામતીના સાધનોની પૂરતી વ્યવસ્થાનો અભાવ તેમજ સલામતી અંગે કામદારોમાં અજ્ઞાનતા અને સરકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બચાવ કામગીરીની વિલંબતા કારણભૂત બનતી હોય છે. આવા સમયે સ્ટેટમાં કાર્યરત મોટા એકમોએ સ્થાપિત કરેલી સુરક્ષા કવચ માટેની સાધન સામગ્રી નાના એકમો તેમજ મોટા એકમો એકબીજાને મદદરૂપ બની મોટી હોનારતમાંથી રક્ષણ મેળવી શકાય છે. જેના માટે એસઆઈએના સભાખંડમાં સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત 17 જેટલા મોટા એકમોના સેફટી ઓફિસરો સાથે એસઆઈએની ટીમે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મ્યુચ્યુઅલ એડ એગ્રીમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનિંગ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરેક કંપનીના સેફટી ઓફિસરોએ એમના અનુભવ મુજબ ગેસ ગળતર તેમજ આગ જેવી ઘટનાના સમયે ઘટનાને અનુરૂપ કેવા પ્રકારની સામગ્રી ઉપયોગ કરવી જેથી કાબૂ મેળવવામાં સરળતા રહે એના ઉપર પ્રકાશ પાડયો હતો. આમ દરેક કંપનીઓની બેઝિક માહિતી એકત્રિત કરી મદદરૂપ થવા માટે સંગઠિત થતા જોવા મળ્યા હતા. આ કામગીરીમાં સરળતા અને વહીવટી ક્ષેત્રે કોઈ અડચણ ન આવે એ માટે એસઆઈએની ટીમ સફળ પ્રયાસ કરી રહી છે. આવનારા સમયમાં નાના એકમોના કામદારોને સેફટી વિશે માર્ગદર્શન પૂરુંપાડવા શિબિરનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે.
આ બેઠકમાં એસઆઈએના પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરીશ્રી કૌશિકભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ વાસવાની, જોઈન્ટ સેક્રેટરી શ્રી આનંદભાઈ પટેલ, ટ્રેઝરર શ્રી દામોદરભાઈ પારીખ વરિષ્ઠ સભ્ય શ્રી આર.કે સિંહ શ્રી શિવ પ્રકાશ સિંગ તેમજ કોરમંડલ કંપનીના ઓફિસર શ્રી જવલભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ શ્રી હાર્દિકભાઈ ત્રિવેદી વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી.