સમાજમાં આરોગ્યને લગતી અંધશ્રધ્ધાઓ અને કુરિવાજો દૂર કરવા અધિકારીઓ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, 0૮: સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વિશાળ જન સમુદાય સુધી પહોંચે એવા શુભ આશય સાથે તા. ૮ મે ૨૦૨૩ના રોજ સોમવારે વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના સભાખંડમાં આશા ફેસીલીટેટર બહેનોને વ્યવહાર પરિવર્તનની તાલીમ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે તાલીમ દરમિયાન આભા કાર્ડ, નોન કોમ્યુનિટી ડીસીઝ અને સગર્ભા માતાઓની વહેલી નોંધણી કરવા ઉપર ભાર મુકી આશા ફેસીલીટેટરોને તેમની સમાજ ઉપયોગી આરોગ્ય અંગેની વિવિધ કામગીરી વિશે વિસ્તૃત સમજ આપી હતી. જિલ્લા માહિતી શિક્ષણ-પ્રસારણ અધિકારી (DIECO) પંકજભાઈ પટેલે દર શનિવારે આશા મીટિંગમાં અચૂક હાજરી આપવા તમામ આશા ફેસીલીટેટરને તાકીદ કરી હતી. વધુમાં તેમણે સમાજમાં રહેલા કુરિવાજોને નાબૂદ કરવા માટે પોતાની પાસે જ્ઞાન હોવુ જરૂરી છે તો લોકોને સમજાવી શકાય એવુ આશા ફેસીલીટેટરને જણાવી સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાઓ અને કુરિવાજોને દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી સમજણ આપી હતી.
આશા વર્કરો પોતાના ગામ તેમજ ફળિયામાં ગ્રામજનો સાથે સીધા સંપર્કમાં હોવાથી ગ્રામજનોમાં ફેલાયેલી અંધશ્રધ્ધા અને કુરિવાજો સરળતાથી દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મહત્વનું યોગદાન આપી શકે તેમ હોવાથી તાલીમ આપવામાં આવી રહી છે.