આટિયાવાડ પોલીસ આઉટ પોસ્ટના કર્તાહર્તાઓએ ગત તા.2 એપ્રિલના રોજ થયેલી એક ફરિયાદમાં અપનાવેલા ટાઢા વલણથી આરોપીઓને વધુ ગુનો કરવા મળેલી તક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી કરપીણ હત્યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે. કારણ કે, શૈલેષ પટેલની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી રહેલા સદીયો ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ વગેરે સામે ગત તા.2 એપ્રિલના રોજ ગંભીર ગુનો પણ નોંધાયો હતો. પરંતુ આટિયાવાડ આઉટ પોસ્ટના કર્તાહર્તાઓએ આરોપીઓને છટકવાની સુવિધા કરી આપી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જ્યારે પોલીસ ચોકીના કર્તાહર્તાઓ ફરિયાદીને જ આરોપી ઠસાવવાની પણ પેરવી કરી રહ્યા હતા.
નાની દમણ પોલીસ સ્ટેશનની એફઆઈઆર અંતર્ગત આરોપીઓ સામે આઈપીસીની 307, 143, 149, 352, 34 કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જ્યારે પોલીસે જપ્ત કરેલી ગાડી છોડાવવા માટે આરોપી પૈકી એકનીહાજરી પોલીસ ચોકીમાં જોવા મળતી હતી. તે સમયે આરોપીઓ સામે સખ્તાઈ વાપરવામાં આવી હોત તો, આ કમનસીબ હત્યાની ઘટના ટળી શકી હોત. ફરિયાદી કિરીટ જગદીશભાઈ પરમારે આરોપી તરીકે (1) મિતેશ ઈશ્વરભાઈ પટેલ, (2) ઉમેશ, (3) મિલન, (4) ફુલવા અને (પ) અજાણ્યા 3 વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી.
આજે વાપીના રાતા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ નજીક બનેલ ઘટનામાં મૃતકના પરિવારોએ આરોપી તરીકે મિતેશ ઈશ્વરભાઈ પટેલ, સદિયો ઉર્ફે શરદ પટેલ વગેરેના નામો જણાવ્યા છે. ત્યારે દમણ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો આ કમનસીબ ઘટના ટળી શકી હોત એવું આંકલન વ્યક્ત થઈ રહ્યું છે.