જલંધર બીચ પર જલંધર મંદિર અને ચંદ્રમૌલેશ્વર મંદિર અને ચક્રતીર્થ પાસે એક દરગાહ આસ્થાના કેન્દ્ર હોવાથી તોડી પડાતા લોકોમાં જોવા મળેલો રોષ
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.10: કેન્દ્ર શાસિત દીવ ખાતે જલંધર બીચ પર આવેલ એક ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, જલંધર મંદિર અને ચક્રતીર્થ ખાતે એક દરગાહનું જિલ્લા પ્રશાસન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિરો તથા દરગાહ લોકોની આસ્થાના કેન્દ્ર હોવાથી તોડી પડાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દીવના જલંધર બીચ ખાતે જલંધર મંદિર એ પ્રાચીન મંદિર છે, જેનો ઉલ્લેખ મહાભારત, રામાયણ વગેરેમાં કરવામાં આવ્યો છે અને તેના નામથી ત્યાં જલંધર બીચ પણ પ્રચલિત છે. કહેવાય છે કે, અહીં દીવમાં ભગવાન દ્વારા જલંધરનો વધ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન જલંધરનું મસ્તક દીવ જલંધર બીચ ખાતે પડતા ત્યાં પ્રાચીન કાળ સમયથી જલંધર મંદિરની સ્થાપના થઈ છે અને તેમનું ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. જલંધર એક રાક્ષસ હોવા છતાં લોકો તેની પૂજા-અર્ચના કરતા હતા. આજે દીવ પ્રશાસન દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, સાથે જલંધર પર પર બીજું ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર તથા ચક્રતીર્થ બીચ પાસે આવેલ દરગાહનું પણ ડિમોલિશન કરવામાં આવ્યુ હતું. ડિમોલિશનથી લોકોની આસ્થાનો ભંગ થયો છે.