(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25: તાલુકા સેવા સદનમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને મામલતદાર રાકેશભાઇ જોષી તથા વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ચીખલીના ભરતભાઇ કાપડિયા દ્વારા ચીખલીમાં જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. તે તમામના નામ બોર્ડ પર હોવા જોઈએ તેવી રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત લીમઝર વિસ્તારમાં નાઈટ બસ અંગેનો પણ પ્રશ્ન રજૂ થયો હતો. તાલુકાના ચિતાલી ગામે ઝંડા ચોક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનો વર્ષોથી ચાલી આવેલ કુદરતી કાંસમાં નાળા નાંખવાથી પાણી અવરોધાતા લોકોના ઘરના ઓટલા સુધી પહોંચી જવા સાથે સરૈયા-ચિતાલી રોડ પણ બંધ થઈ જતા ગત ચોમાસામાં પ્રાંત અધિકારીના લેખિત હુકમ બાદ સ્થાનિક પંચાયત દ્વારા આ કુદરતી કાંસમાંથી અવરોધ દૂર કર્યા હતો. જે પંચાયતની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવી અમારી જમીનમાંથી પાણી ન જવું જોઈએ, પાણીને બીજેથી લઈ જવાની સ્થાનિકે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વરસાદી પાણીના નિકાલ માટે જે અસલ કાંસ હોય તેને અવરોધીશકાતો ન હોય તેવામાં પંચાયત દ્વારા જાહેર હિતને ધ્યાનમાં લઇ પ્રાંત અધિકારીના આદેશ મુજબ અવરોધ દૂર કરી સારી જ કામગીરી કરી હોય તેવામાં આ પ્રશ્નનું બીજું કોઈ નિરાકરણ આવે તેવું જણાયું ન હતું.
આ ઉપરાંત વાંઝણા ગામે કેટલાક ઘરોને પીવાનું પાણી ન મળવા બાબતની રજૂઆતમાં પાણી સમિતિને નિયમિત પાણી વેરો ન મળતો હોવાનું કારણ બહાર આવતા પાણી સમિતિના નિર્ણય પર આ પ્રશ્ન છોડવામાં આવ્યો હતો. યોજનાના સંચાલન માટે નિયમીત પણે પાણી સમિતિને વેરો આપવામાં આવે તે પણ જરૂરી છે.
તમામ નવ જેટલા પ્રશ્નો સંદર્ભે જિલ્લા સમાહર્તા ક્ષિપ્રા આગ્રે દ્વારા સંબંધિત શાખાઓના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
Next Post