દાનહના ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ અને દાનહ જિ.પં.ના સીઈઓ ડો. અપૂર્વ શર્માની ઉપસ્થિતિમાં શુક્રવારે ખડોલીના કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારો ઉદ્ઘાટન સમારંભ
આદિવાસી મહિલાઓના કૌશલ્ય વિકાસ માટે ડેરી ફાર્મિંગ, પોલ્ટ્રી ફાર્મિંગ, ટેલરિંગ, આટા-ચક્કી, બેકરી વગેરેની અપાનારી તાલીમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીના બીજા વર્ષના ભાગરૂપે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્મેર લોરીએ સેલવાસના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓ માટે એક આજીવિકા સંબંધિત પ્રોજેક્ટના અમલીકરણનો નિર્ણય કર્યો છે. જેનું ઉદ્ઘાટન 26મી મે, 2023ના શુક્રવારના રોજ ખડોલીના કોમ્યુનિટી હોલ ખાતે સવારે 11.00 વાગ્યે દાનહના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માની ઉપસ્થિતિમાં થનાર છે.
આજીવિકા સંબંધિત પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 7પ આદિવાસી મહિલાઓના કૌશલ્ય વિકાસ કરી તેમના માટેવૈકલ્પિક આવકના વિકલ્પો ઉભા કરવા ડેરી ફાર્મિંગ, પોલ્ટ્રી ફાર્મિંગ, ટેલરિંગ, આટા-ચક્કી, બેકરી વગેરેની તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામીણ ટ્રસ્ટ (અમલીકરણ સંસ્થા)ની ભાગીદારીથી કરવામાં આવશે. સાથે સાથે ગીર ગાયોના ઉછેર ઉપર પણ વિશેષ ભાર આપી આજીવિકા પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ અને પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ 26મી મે, 2023ના રોજ ખડોલીના કોમ્યુનિટી હોલ ખાતે સવારે 11 વાગ્યે રાખવામાં આવેલ છે.