જમીન વારસાઈની તકરારી મેટરમાં અરજદાર પક્ષે હુકમ કરાવવા માંગેલી પાંચ લાખની રકમ સ્વીકારતા ભેરવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયાને આજરોજ રૂા. પાંચ લાખની લાંચ સ્વીકારતા સુરત ગ્રામ્ય વિસ્તાર એસીબીના અધિકારીઓએ રંગે હાથ ઝડપી પાડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. જમીન વારસાઈની ચાલી રહેલી તકરારી મેટરમાં અરજદાર તરફી હુકમ કરવા રૂા. પાંચ લાખની રકમની માંગણી કરી હતી. જે રકમ અરજદાર ચુકવવા માંગતા ન હોય સુરત ગ્રામ્ય વિસ્તાર એસીબીને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ઉમરગામ મામલતદાર કચેરી ખાતે છટકુ ગોઠવ્યું હતુંઅને મામલતદારે કરેલી માંગણી મુજબ રૂા. પાંચ લાખની રકમ આપવામાં આવી હતી જે રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપા ગયા હતા. આ ઘટનામાં એસીબીની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.