-
સર્વ ધર્મ પ્રાર્થના અને ભજન દ્વારા દિવંગત આત્માઓની શાંતિ માટે કરાયેલી પ્રાર્થના
-
મૃતક પરિવારો પૈકી દીપેશભાઈ ટંડેલે હવેથી 28મી ઓગસ્ટ કાળો દિવસ નહીં પ્રદેશનો સદ્ભાવના દિવસ ગણવા વહેતો મુકેલો વિચાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે 2003ના વર્ષમાં થયેલ પુલ દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં ચિલ્ડ્રન મેમોરિયલ પાર્કનું એક સાદા પરંતુ સાદગીભર્યા સમારંભમાં કર્યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિત ઉપસ્થિત લોકોએ નવનિર્મિત સ્મારક ઉપર પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમમાં મુંબઈથી આવેલ ભજનિક શ્રી ઓમપ્રકાશે કબીરના ભજન રજૂ કર્યા હતા. માછી મહાજન તરફથી પ્રજ્ઞાચક્ષુએ ‘મંગલ મંદિર ખોલો દયામય.. મંગલ મંદિર ખોલો..’ના ભજનથી વાતાવરણને ઈશ્વરમય બનાવી દીધું હતું.
આ પ્રસંગે 3 ઓગસ્ટ, 2003ના રોજ પુલ દુર્ઘટનાના પીડિતપરિવારો પૈકી શ્રી દીપેશભાઈ ટંડેલે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ગમખ્વાર દુર્ઘટનાના આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આવેલી ગતિશીલતાના કારણે મૃતક પરિવારના સભ્યોને ન્યાય પણ મળ્યો છે અને 2003થી પ્રત્યેક 28મી ઓગસ્ટને પ્રદેશમાં કાળા દિવસ તરીકે યાદ કરાતી હતી તેને આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલી પહેલથી બનેલા ભવ્ય સ્મારકના કારણે આજના દિવસને હવે સદ્ભાવના દિવસ તરીકે ઉજવાશે.
આ કાર્યક્રમમાં પુલ દુર્ઘટનાના અન્ય એક પીડિત શ્રી મોહનભાઈ બટાકે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દુર્ઘટનામાં મોતને ભેટનાર 28 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષકના પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પરિવારજનોએ 20 વર્ષ બાદ પણ પોતાના હૈયામાં સમાવી રાખેલા રૂદનને છુપાવી નહીં શક્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દમણ હોટેલિયર એસોસિએશનના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ મીરામાર, દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કાઉન્સિલરો તથાઆમજનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.