(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે યોજાનાર આદિવાસી રમતોત્સવમાં ભાગ લેવા માટે ગત તા.21મી મેના રોજ દમણ ખાતે પ્રશાસન દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ જિલ્લાના આદિવાસી યુવાનોની વિવિધ રમતો માટે પસંદગી કરવામાં આવી હતી.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રમત-ગમતના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેના અનુસંધાનમાં ઓરિસ્સા સરકાર અને સામાજિક વિજ્ઞાન સંસ્થાન, કલિંગા (ભુવનેશ્વર)ના સંયુક્ત સહયોગથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા આગામી તા.9 થી 12 જૂન, 2023 દરમિયાન રાષ્ટ્રીય સ્તરે આદિજાતિ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી રમત-ગમત પ્રતિભાને ઓળખવાનો, શોધવાનો અને પ્રોત્સાહન આપવાનો છે અને આ રમતોને લોકપ્રિય બનાવવાનો છે જેથી તેમાંથી કેટલીક રમતોને આગામી વર્ષોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોત્સવમાં સામેલ કરી શકાય અને સમગ્ર દેશમાં તેનો ફેલાવો થાય અને સંઘપ્રદેશના પ્રતિષ્ઠિત આદિવાસી ખેલાડીઓને તેમના સારાપ્રદર્શન અને યોગદાન માટે સન્માનિત કરી શકાય.
આ સંદર્ભે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના કેન્દ્ર શાસિત પ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી.ના માર્ગદર્શન હેઠળ આદિજાતિ રમતોત્સવ-2023માં ભાગ લેવાનું નક્કી કર્યું છે.
રમત-ગમત નિયામક શ્રી અરુણ ગુપ્તા અને રમતગમત વિભાગના સહયોગથી 21 મેના રોજ દમણમાં સંઘ કક્ષાની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પસંદગી પ્રક્રિયામાં કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણેય જિલ્લાના આદિવાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પસંદગી પ્રક્રિયામાં એથ્લેટિક્સ, ફૂટબોલ, કબડ્ડી, ખોખો અને મલખંભના ખેલાડીઓને આદિજાતિ રમતોત્સવ-2023માં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.