સમસ્ત પંથકમાં ઘેરા શોકની લાગણીઃ સ્મશાન યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કાઉન્સિલરો સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો, મિત્રો તથા ટેકેદારોની રહેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજના આગેવાન શ્રી રાયચંદભાઈ મોહનભાઈ પટેલનું આજે આકસ્મિક નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સ્વ. શ્રી રાયચંદભાઈ પટેલ દમણવાડા ગ્રામ પંચાયતના વર્તમાન ઉપ સરપંચ શ્રી મિલનભાઈ પટેલના પિતા પણ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે બપોરે 2:00 વાગ્યે તેમના નિવાસ સ્થાન ભામટીથી નિકળેલી સ્મશાન યાત્રાામાં દમણ, સેલવાસ તથા વલસાડ જિલ્લાના તેમના સગાં-સંબંધીઓ તથા વિશાળ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કાઉન્સિલરો તથા ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વ. રાયચંદભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બજાવેલી કામગીરીને પણ લોકો આજે યાદ કરી રહ્યા છે. તેમણે પૂર્વ સરપંચના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કર્યા હતા.
સ્વ. રાયચંદભાઈપટેલ એક વેપારી હોવા ઉપરાંત દરેક જોડે મળતાવડા અને પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરનારા હતા. તેમના આકસ્મિક નિધનથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેઓ પોતાની પાછળ પત્ની અને ત્રણ પુત્રોને વિલાપ કરતા છોડી ગયા છે.