સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાએ 14મો ક્રમ મેળવ્યો, 19773માંથી 12807 વિદ્યાર્થીઓ પાસ થયા : એ-1 ગ્રેડમાં 59 વિદ્યાર્થી ઝળકયા
જિલ્લાના 27 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામવલસાડ હાલર રોડ કેન્દ્રનું 86.19 ટકા અને સૌથી ઓછુ પરિણામ રોણવેલ કેન્દ્રનું 35.50 ટકા નોંધાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ તા.25 મે ને ગુરૂવારે જાહેર થતા વલસાડ જિલ્લાનું પરિણામ 64.77 ટકા આવ્યું છે. ગત વર્ષ 2022માં 65.12 ટકા પરિણામ આવ્યુ હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે 0.35 ટકા ઓછુ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાવાર પરિણામ જોઈએ તો વલસાડ જિલ્લાનો 14મો ક્રમ આવ્યો છે. જ્યારે એ-1 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
વલસાડ જિલ્લામાં 27 કેન્દ્રો ઉપર માર્ચ 2023માં લેવાયેલી ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લામાં કુલ 20042 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 19773 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી એ-1 ગ્રેડમાં 59, એ-2 ગ્રેડમાં 729, બી-1 માં 1867, બી-2 માં 3412, સી-1માં 4115, સી-2માં 2512, ડી ગ્રેડમાં 113 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈ-1માં 4071 અને ઈ-2 માં 2895 વિદ્યાર્થીઓને સમાવેશ થયો હતો. આમ, 19773માંથી 12807 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 6966 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસ,મોટી દમણ, ખાનવેલ, રખોલી અને ગલોન્ડા કેન્દ્રને બાદ કરી વલસાડ જિલ્લાના 27 કેન્દ્રોની વાત કરીએ તો ચાલુ વર્ષે સૌથી વધુ પરિણામ વલસાડ હાલર રોડ કેન્દ્રનું આવ્યું છે. આ કેન્દ્ર પર 1226 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1224એ પરીક્ષા આપતા 1055 વિદ્યાર્થીઓ પાસ થતા હાલર રોડ કેન્દ્રનું પરિણામ 86.19 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ રોણવેલ કેન્દ્રનું 35.50 ટકા આવ્યું છે. રોણવેલ કેન્દ્રમાં 315 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 307એ પરીક્ષા આપતા 109 વિદ્યાર્થી પાસ થયા હતા. વર્ષ 2022 સાથે ચાલુ વર્ષ 2023ની સરખામણી કરીએ તો, વલસાડ જિલ્લામાં ગત વર્ષે પણ સૌથી વધુ 83.18 ટકા પરિણામ વલસાડ હાલર રોડ કેન્દ્રનું જ આવ્યું હતું. જ્યારે સૌથી ઓછુ પરિણામ માંડવા કેન્દ્રનું 40.52 ટકા આવ્યું હતું. ચાલુ વર્ષ 2023માં જ શરૂ થયેલા નાની વહીયાળ કેન્દ્રમાં 324 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 321એ પરીક્ષા આપતા 200 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેથી આ કેન્દ્રનું પરિણામ 62.31 ટકા આવ્યું હતું.
૧૦૦ ટકા પરિણામ લાવનાર માત્ર ૫ શાળા જ નીકળી
જિલ્લામાં 10 ટકાથી ઓછુ પરિણામ લાવનાર શાળાની સંખ્યા 9 છે. 11 થી 20 ટકા પરિણામ લાવનાર શાળા 10 છે. 21 થી 30 ટકા પરિણામ લાવનાર18 શાળા, 31 થી 40 ટકા પરિણામ લાવનાર શાળા 14, 41 થી 50 ટકા પરિણામ લાવનાર 27 શાળા, 51 થી 60 ટકા પરિણામ લાવનાર 33 શાળા, 61 થી 70 ટકા પરિણામ લાવનાર 42 શાળા, 71 થી 80 ટકા પરિણામ 38 શાળા, 81 થી 90 ટકા પરિણામ લાવનાર 41 શાળા, 91 થી 99 ટકા પરિણામ લાવનાર 30 શાળા અને 100 ટકા પરિણામ લાવનાર 5 શાળાની સંખ્યા છે. જ્યારે 0 ટકા પરિણામવાળી શાળા ગત વર્ષે પણ 5 હતી અને આ વર્ષે પણ 5 રહી છે. 100 ટકા મહત્તમ પરિણામ વાળી શાળા માર્ચ 2022માં 6 હતી જ્યારે આ વર્ષે 5 નોંધાતા 1 શાળાનો ઘટાડો નોંધાયો છે.
વલસાડની શેઠ આર.જે.જે. શાળાના ટોપ 5 વિદ્યાર્થીઓ
વલસાડ જિલ્લામાં એ-1 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાંથી 5 વિદ્યાર્થી વલસાડની શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમના છે. જેમાં પ્રથમ ક્રમે પટેલ ઋષિતા મનિષભાઈ પટેલે 600માંથી 558 માર્ક મેળવતા 93 ટકા આવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક 99.74 ટકા છે. બીજા ક્રમે આહિર વ્રજ રાજેશકુમારે 600માંથી 556 માર્ક મેળવતા 92.67 ટકા આવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક 99.69 ટકા છે. ત્રીજા ક્રમે ટંડેલ કુંજન જગદીશકુમારે 600 માંથી 551 માર્ક સાથે 91.83 ટકા મેળવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક 99.53 છે. ચોથા ક્રમે પટેલજિનલબેન દીપકભાઈએ 600 માંથી 547 માર્ક મેળવતા 91.17 ટકા મેળવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક 99.38 છે. પાંચમાં ક્રમે પટેલ દ્રષ્ટી સંજયભાઈએ 600 માંથી 545 માર્ક મેળવતા 90.83 ટકા આવ્યા છે. જ્યારે પર્સન્ટાઈલ રેન્ક 99.28 આવ્યા છે. શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલાઓને આર્ચાયા ફાલ્ગુનીબેન દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા.
પૂરક પરીક્ષામાં એક વિષય માટે રૂા.130 અને બે વિષય માટે રૂા.185 ફી ભરવાની રહેશે
જે વિદ્યાર્થીઓ માર્ચ 2023ની પરીક્ષામાં ગેરહાજર રહેલા હોય અથવા એક અથવા બે વિષયમાં અનુત્તીર્ણ હોવાને કારણે સુધારણાને અવકાશ ધરાવે છે. એક અથવા બે વિષયની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો તેવા પરીક્ષાર્થીઓ જુલાઈ-2023ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આ પૂરક પરીક્ષાના આવેદનપત્રો માર્કશીટ આવ્યા બાદ બોર્ડની વેબસાઈટ રૂરૂરૂ.તિંફૂણુ.ંશ્વ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદનપત્રો તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ આવેદનપત્રો સ્વીકારવાની પધ્ધતિ અમલમાં નથી. ઉમેદવારો માટે ફી ની રકમ એક વિષય માટે રૂા.130 અને બે વિષય માટે રૂા.185 રહેશે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ પૂરકપરીક્ષા-2023 માટે ઓનલાઈન આવેદન (રજિસ્ટ્રેશન) કરવુ ફરજિયાત છે. શૂન્ય ફી રિસીપ્ટ રજિસ્ટ્રેશનના આધાર તરીકે સાચવી રાખવાની રહેશે. જરૂર પડે ત્યારે બોર્ડ સમક્ષ રજૂ કરવાની રહેશે.