-
ભાજપના ત્રણ પદાધિકારીઓએ આપેલા રાજીનામા
રાજીનામા આપનારા ત્રણ પદાધિકારીઓ પૈકી બે વર્તમાન કાઉન્સિલરઃ ન.પા.ના કાઉન્સિલર પદેથી પણ રાજીનામું આપવા થઈ રહેલી માંગણી
-
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીના મુદ્દે ઉભા થયેલા અસંતોષમાં સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી હિતેશભાઈ જે. પટેલ અને શ્રી મનોજભાઈ આર. દયાતે અનુક્રમે ભાજપ મંડળ-1 શહેરના અધ્યક્ષ પદથી અને સેલવાસ જિલ્લા શહેર અનુસૂચિત જનજાતિ મોર્ચાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જ્યારે પૂર્વ કાઉન્સિલર શ્રી નિલેશ માહ્યાવંશીએ પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને ત્રણેય ભાજપના પદાધિકારીઓએ પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રીદીપેશભાઈ ટંડેલ તથા સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ મહામંત્રીને પણ સુપ્રત કર્યો છે.
દાદરા નગર હવેલીમાં શરૂ થયેલી ચર્ચા પ્રમાણે આ ભાજપના પદાધિકારીઓએ કાઉન્સિલર પદેથી રાજીનામું આપવાની પણ હિંમત કરવી જરૂરી હતી. હવે પોતાના રાજીનામા પત્રમાં ફક્ત અંગત કારણોથી પદ છોડી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ પદાધિકારીઓની બાબતમાં ભાજપ હાઈકમાન્ડ કેવો નિર્ણય લે તેના ઉપર તમામની મીટ મંડાયેલી છે.