(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સફળતાના 9 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘‘વિશેષ જનસંપર્ક અભિયાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા શ્રી સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની સૂચનાઅને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને ‘‘પત્રકાર પરિષદ”નું આયોજન વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હેમંતભાઈએ આગામી તારીખ 30 મે થી 30 જૂન સુધી ‘‘વિશેષ જનસંપર્ક અભિયાન” હેઠળ કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના આયોજન અંગેની વિગતવાર માહિતીઓ આપી હતી.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કાર્યરત કેન્દ્ર સરકારના 9 વર્ષ સેવા, સુશાસન, અને ગરીબ કલ્યાણ તરીકે કામ કર્યું છે જેમાં પી.એમ. જનધન યોજના, પી.એમ. ઉજવલા યોજના, પી.એમ.કિસાન યોજના, પી.એમ. ગતિશક્તિ, અટલ પેંશન યોજના, જળ જીવન મિશન, પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજના, પી.એમ.માતૃવંદના યોજના, ઉડાન યોજના અને અનેકગણા વિકાસના કાર્યો, રાષ્ટ્રહિતના કાર્યો સુશાસનના નવ વર્ષની અનેક સિદ્ધિઓની માહિતીઓ આપી હતી.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ ‘‘વિષેશ જનસંપર્ક અભિયાન” હેઠળ યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આગામી 30 મે થી 30 જૂન 2023 સુધી વિવિધ કાર્યક્રમો યોજનાર છે. જેમાં તારીખ 30/31 મે ના રોજ પ્રારંભ રેલી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાસભાથીઅભિયાનનો શુભારંભ કરવામાં આવનાર છે. તારીખ 1 થી 6 જૂન સંપર્કથી સમર્થન કાર્યક્રમ, તારીખ 1 જૂનથી 20 જૂન વિકાસ તીર્થ (લોકસભા સ્તરે) તારીખ 5 જૂન થી 20 જૂન લાભાર્થી સંમેલન (મંડળ સ્તરે), 10 જૂન થી 15 જૂન વેપારી સંમેલન (લોકસભા સ્તરે), 10 જૂનથી 20 જૂન પ્રબુદ્ધ સંમેલન (લોકસભા સ્તરે), 15 જૂનથી 20 જૂન સંયુક્ત મોરચા સંમેલન (વિધાનસભા સ્તરે), 21 જૂન વિશ્વ યોગ દિવસ (વિધાનસભા/મંડળ સ્તરે) 23 જૂન યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે વીસી, 23 જૂન વરિષ્ઠ કાર્યકર્તાઓની સાથે ભોજન તથા વાર્તાલાપ (વિધાનસભા સ્તરે), 25 જૂનથી 30 જૂન ઘર ઘર સંપર્ક (બુથ સ્તરે), કેન્દ્ર, પ્રદેશની યોજના પ્રમાણે વિશાળ જનસભા (લોકસભા સ્તરે) કાર્યક્રમો યોજાનાર હોવાની માહિતીઓ આપી હતી.
વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને વલસાડ જિલ્લા વિશેષ જનસંપર્ક અભિયાનના ઈન્ચાર્જ શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અને વલસાડ જિલ્લા વિશેષ જનસંપર્ક અભિયાન સહ ઈન્ચાર્જ શ્રી જિતેશભાઈ પટેલ, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી શ્રી ઈલિયાસભાઈ મલેક, વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા આઈ.ટી. ઈન્ચાર્જ શ્રી ધ્રુવીનપટેલ ઉપસ્થિત રહ્યા હતા.