(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: ખેરગામ તાલુકાના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું લોકાર્પણ પ્રસંગે રક્તદાન શિબિરનું ઉદઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું.
મુંબઈના સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ અને આદિજાતિ વિકાસની કચેરી નવસારીના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટિરનું નવસારી જિલ્લાના ખેરગામ નજીકમાં આવેલ કાકડવેરી ગામમાં લોકાર્પણ ગણદેવી વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું હતું.
આદિવાસી ક્ષેત્રમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરતા તથા શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી જરૂરી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થાય અન્ય ગ્રામજનોને ધંધા રોજગાર જીવનલક્ષી સાહિત્ય વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને કેળવણીલક્ષી સાહિત્ય ઉપલબ્ધ કરાવવાના હેતુસર મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનર સુરેશભાઈ ગરાસિયાના પ્રયાસથી રૂા.4,45,500/- ની માતબર રકમથી વાંચન કુટિરને અતિ આધુનિક બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માનવ જીવનના વિકાસમાટે પુસ્તકોનું વાંચન ખૂબ વિશેષ હોય છે. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વાંચનાલય ખૂબ ઉપયોગી બનશે તથા વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખ રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લાના આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસીયા, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન ગરાસીયા, ખેરગામ તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી ચુનીભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભુસરા અને ડાયેટ નવસારીના પ્રાચાર્ય યોગેશભાઈ પટેલ, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયંતિભાઈ પટેલ શીતળ છાંયડો લાઈબ્રેરી સ્થાપક, કેતન ગરાસિયા મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ, કમલેશ માહલા ઉપ પ્રમુખ ધ.તા. પ્રા.શિ. સંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનો ખૂબ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ નરેશભાઈ પટેલ રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો.ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ, ડૉ.વીરેન્દ્ર ગરાસીયા, મિતેશ પટેલ, પ્રિતેશ પટેલ, વિજયભાઈ ગરાસિયા, ભાવેશ ગરાસિયા, ડેનિશકુમાર, મંજુલાબેન, હેમિના ગરાસિયા, રિતેશ ગરાસિયા, હિરેન ગરાસીયા, મયુર ગરાસિયા, કૌશિક પટેલ, યોગીન પટેલ, ચેતન પરમારહિમાંશ, દેસાઈ, વિમલ પટેલ, સાકાર વાંચન કુટીરના વાચક મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ પ્રયાસ કર્યો હતો.
કાકડવેરી ગામમાં પ્રથમ વખત રકતદાન કેમ્પનું આયોજન ગામના યુવા મિત્રોએ કર્યું હતું. રકતદાન અંગે જાગૃતિ આવે અને બધા તંદુરસ્ત વ્યક્તિ પોતે રક્તદાન કરે એવા શુભ આશય સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 16 બોટલ એકત્ર થઈ શકી હતી. ગ્રામ્ય ક્ષેત્રમાં લોકોમાં રકતદાન અંગે હજી પણ ઘણી બધી અજ્ઞાનતા જોવા મળે છે ત્યારે શિક્ષિત અને આગેવાનોયે લોકોને રકતદાન અંગે જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયત્નો કરવા જોઈએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેઈન્બોવોરિયર્સ ધરમપુર કો.ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ, ડૉ.વીરેન્દ્ર ગરાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ ડુમિયાની કોલેજના પ્રોફેસર ડૉ.ધીરજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.