હત્યા કરવા માટે આરોપીઓએ 19 લાખની સોપારી આપી હતી
હત્યા પહેલા શાર્પશૂટરો પંડોર ફાર્મમાં રોકાયા હતા : સાત દિવસ શૂટરોએ કોચરવામાં રેકી કરી હતી
1600 કી.મી. વિસ્તારમાં ફરી પોલીસે સીસીટીવી ચેક કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: ગત તા.08મે 2023ના રોજ સવારે 7 વાગે રાતા મહાદેવ મંદિર પાસે વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ કીકુભાઈ પટેલની બાઈક ઉપર આવેલ ત્રણ શાર્પ શૂટરોએ સ્કોર્પીયોમાં બેઠા હતા ત્યારે ગોળી મારી ઘાતક હત્યા કરી હતી. વલસાડ જિલ્લા પોલીસે આ હાઈપ્રોફાઈલ હત્યાનો ગુનો ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
હત્યાના દિવસે ઘટનાનજરે જોનાર શૈલેષભાઈ પટેલની પત્ની શ્રીમતી નયનાબેન પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે ઈ.પી.કો. 302, 34, 120(બી) આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથી ધરી હતી. વીસ દિવસ સુધી પોલીસની વિવિધ ટીમો અનેક પાસા-બાતમીદાર અને ટેકનિકલ એનાલીસીસથી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આજે વાપી ડી.વાય.એસ.પી. કચેરીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુના અંગે એસ.પી. ડો.રાજદીપ ઝાલા તેમજ ડી.વાય.એસ.પી. કચેરીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુના અંગે એસ.પી. ડો.રાજદીપ ઝાલા તેમજ ડી.વાય.એસ.પી. બી.એન. દવેએ પત્રકારોને ઝીણવટ ભરેલી તપાસની વિગતો આપી હતી. જેમાં શરદ ઉર્ફે સદીયો દયાળભાઈ કો. પટેલ, તેનો ભત્રીજો વિપુલ ઈશ્વરભાઈ પટેલ, મિતેશ ઈશ્વરભાઈ પટેલ ભેગા મળીને ઓળખીતા અજય સુમન ગામીત રહે.ચલા યોગી કોમ્પલેક્ષ અને સત્યેન્દ્ર સિંગ ઉર્ફે સોનુ રાજનાથ સિંગ રાજપૂત રહે.ચણોદ નીલકંઠ રો-હાઉસ મૂળ રહે.બોહરા આઝમગઢ યુપીને 19 લાખની સોપારી શૈલેષ પટેલને મારી નાખવા આપેલી. કાવતરા મુજબ ત્રણેય શાર્પ શૂટર ડીસે. 2022 થી 10 જાન્યુ. સુધી દમણ રોકાયેલા. ગુના માટે નવુ બજાજ પલ્સર શાર્પ શૂટરોને દમણમાં અપાયેલું તે સમયે રેકી અને પ્લાન સફળ થયો નહોતો તે પછી શૂટરો તા.03-05-23ના રોજ ફરી આવેલા. આ વખતે શૂટરો માટેપંડોર ગામની સીમમાં વાડીમાં રોકવા અને રહેવા, જમવાની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ એક અઠવાડીયા રેકી કરીને અંતે તા.08-05-23ના રોજ સવારે 7 વાગે રાતા શિવ મંદિરે સ્કોર્પીયોમાં ફાયરીંગ કરી શૂટરોએ ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં જુદી જુદી ટીમો તપાસ માટે રવાના કરી હતી. અને હત્યાનો ભેદ ઉકેલવા સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીમાં વિપુલ પટેલ તથા મિતેષ પટેલ તથા શરદ પટેલ વિરૂધ્ધ વાપી ટાઉન, ડુંગરામાં ગુના નોંધાયેલા છે. જ્યારે અજય ગામીત વિરૂધ્ધ ખૂનનો એક અને પ્રોહિબિશન ગુનો નોંધાયેલ છે. આ હત્યાને તંતુ 2013 થી જુની અદાવતથી ચાલી આવતો હતો. વચ્ચે પણ શૈલેષ પટેલને મારવાના પ્રયાસો થયા હતા. એલ.સી.બી. પી.આઈ. બારડ, પી.આઈ. ગામીત, પી.આઈ. વી.જી. ભરવાડ સહિતની પોલીસ ટીમની મહેનત રંગ લાવી હતી.