જવાબદાર વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવતા પાલિકાના પગ નીચે રેલો આવવાની પ્રબળ બનેલી શકયતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: ઉમરગામ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિકાસના કામમાં કે પ્રજાના હિતમાં કામ કરવા કરતા પોતાનું હિત સંકળાયેલું હોય એવા કામ કરવામાં વધુ રસ છે એમાં બે મત નથી. હવે ટૂંક સમયમાં અઢી વર્ષની પ્રમુખની ટર્મ પૂરી થવાની છે. એના માટે અગ્રણી કાઉન્સિલરો લોબિંગ બનાવી રહ્યા છે. ઉપ પ્રમુખશ્રી ગણેશભાઈ બારી, કારોબારી અધ્યક્ષશ્રી ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર, બાંધકામ સમિતિ અધ્યક્ષશ્રી અંકુશભાઈ કામળી, શ્રીમતી વૈભવી માયાવંશી, શ્રી મિલિનભાઈ સોનપાલ, આ ઉપરાંત પણ ઘણા સભ્યોએ પ્રમુખનું સ્થાન પ્રાપ્ત થાય એવી ઈચ્છા રાખેલી છે. હવે આ સભ્યોમાં કામ કરવાની ક્ષમતા એમણે પક્ષમાં રહીને કરેલી કામગીરી અથવા તો પાલિકામાં હોદ્દો પ્રાપ્ત કર્યા બાદ પ્રજાના હિતમાં કરેલા વિકાસના કાર્યો ઉપરથી જ અનુમાનલગાવી શકાશે. હાલમાં ઉમરગામ પાલિકાનો વહીવટ માત્ર વિકાસના ઓથા હેઠળ સ્વાર્થનો જોવા મળી રહ્યો છે. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ નોંધપાત્ર કામગીરી કરવામાં નિષ્ફળ છે. ઉમરગામ પાલિકા વહીવટ પ્રદૂષણના મુદ્દે ગંભીર નથી જેના પરિણામે પાલિકાવાસીઓને ગંદકી અને આરોગ્યને નુકસાન કરે એવા વાતાવરણનો સામનો કરવા પડી રહ્યો છે.
ઉમરગામ પાલિકાએ અભ્યાસ કર્યા વગર કચરાના નિકાલ માટે બે ડમ્પીંગ સાઈડ બનાવેલી છે. જે પ્રદૂષણની અને આરોગ્યની દ્રષ્ટિએ સલામત નથી. કોસ્ટલ હાઈવે ઉપર સતત વાહનોની અવરજવર રહે છે અને જ્યાં એકત્રિત કરેલા જથ્થામાં દુર્ગંધ અને આગ લગાવતા લાંબા સમય સુધી ધુમાડો નીકળતો હોય છે. તેવી જ રીતે ગાંધીવાડી વિસ્તારમાં સરકારી દવાખાનાની બાજુમાં બનાવેલ ડમ્પિંગ સાઈડમાં યોગ્ય સંચાલનના અભાવે દુર્ગંધ યુક્ત ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. વારંવાર પાલિકા વહીવટનું ધ્યાન દોરવા છતાં લાપરવાહ કારભારના કારણે સમસ્યાનું નિરાકરણ આવી શકતું નથી જે ઘટનાની જવાબદાર વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. ઉચ્ચ સ્તરેથી પાલિકા સામે પગલાં ભરવા નોટિસો ઈસ્યુ કરવામાં આવે એવા સંકેતો મળી રહ્યા છે.
હવે નજીકના ભવિષ્યમાં પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની અવધી પૂર્ણ થવાની છે ત્યારે પાલિકાનાવહીવટમાં રહી પ્રજાના હિત માટે કયા સભ્યો કામ કરી શકે એની મોવડી મંડળે નોંધ લેવાની જરૂર છે.