માનવ આરોગ્ય સામેના જોખમના નિવારણ માટે પર્યાવરણનું જતનજરૂરીઃ સલીમભાઈ પટેલ પ્રમુખ નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.05: બામણવેલ સ્થિત પાર્થ મેટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ શ્રી સલીમભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આધુનિકતા ખૂબ વધી છે સુવિધામાં પણ વધારો થયો છે તો બીજી તરફ પ્રદૂષણ પણ વધી રહ્યું છે જેને લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે, ખરાબ આબોહવાને પગલે જીવ સૃષ્ટિ સાથે માનવજાતના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થવા પામ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વૃક્ષો વાવી તેનો ઉછેર કરી માનવજાતના આરોગ્ય સામેના જોખમને ટાળવા માટે પર્યાવરણનું જતન કરી આપણે સૌએ સહયોગ આપવો જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લાના જીપીસીબીના અધિકારી શ્રી હરેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે આજે પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પ્લાસ્ટિકનો કચરો જમીન, નદી, તળાવ, દરિયામાં ફેંકાતો હોય છે. જેમાંથી વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાપડની થેલીનો ઉપયોગ વધારી આ પ્લાસ્ટિક વેસ્ટ ગમે ત્યાં ફેંકવું ન જોઈએ અને તેનો યોગ્ય નિકાલ કરી પર્યાવરણને જાળવવામાંઆપણે સહભાગી થવું જોઈએ સાથે તેમણે તમામ ઉદ્યોગકારોને સ્વેચ્છાએ વૃક્ષોનું રોપાણ કરી તેની માવજત કરવા પર ભાર મૂકયો હતો અને આવનાર દિવસોમાં તમામ ઉદ્યોગોના કેમ્પસમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.
બામણવેલ પાર્થ મેટલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી તમામ કવોરીઓના માલિકો સંચાલકોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન ક્વોરી એસોસિએશનના શ્રી સુરેશભાઈ ે કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ રાજપૂત, શ્રી કિશોરભાઈ ઉપરાંત શ્રી દેવજીભાઈ ગોંડલીયા, શ્રી વિઠ્ઠલભાઈ, શ્રી છગનભાઈ, શ્રી નરેશભાઈ, શ્રી નરેન્દ્રસિંહ પરમાર, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.