સમગ્ર દેશમાંથી આશરે ૧૫૦૦ જેટલી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું
સરકારી કોલેજોની કેટેગરીમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દેશમાં ૧૦માં અને ગુજરાતમાં દ્વિતીય ક્રમે
વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા ઇનોવેશન ક્ષેત્રે કરાતી અનેક પ્રવૃતિઓને આધારે અપાઈ રહી છે રેંકીંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ભારત સરકારના કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા તા. ૫ જૂન, ૨૦૨૩ ના દિવસે ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાના રાષ્ટ્રીય કક્ષાના રેંકીંગ “નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેંકીંગ ફ્રેમવર્ક ફોર ઇનોવેશન“ (NIRF Innovation-2023)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા આ રેંકિંગમાં દેશની IITs, NITs, IIMs તેમજ અન્ય રાજ્ય સરકારો હસ્તકની અને ખાનગી ક્ષેત્રની સર્વોચ્ચ અને ખ્યાતનામ સંસ્થાઓ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ રેંકીંગમાં ભાગ લેતી સંસ્થાઓનું અનેક પરીમાણોના આધારે મૂલ્યાંકન થાય છે.
વર્ષ ૨૦૨૩ માટે આ રેંકીંગ માટે સમગ્ર દેશમાંથી આશરે ૧૫૦૦ જેટલી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા ઇનોવેશન ક્ષેત્રે કરવામાં આવતી અનેક પ્રવૃતિઓને આધારે આ રેંકીંગ આપવામાં આવે છે. જે સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન અને આન્ત્ર્પ્રેન્યોરશીપ માટેનું ઉત્તમ વાતાવરણ પુરૂ પાડી શકે તેમને રેંકીંગમાં મોખરાનું સ્થાન મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધી ધરાવતા આ રેંકીંગ ફ્રેમ વર્કના વર્ષ ૨૦૨૩ માટે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં સરકારી ઈજનેરી કોલેજ વલસાડે અભૂતપૂર્વ અને ઉત્કૃષ્ટ સિદ્ધી મેળવી છે.
આ રેંકીંગમાં સરકારી કોલેજોની કેટેગરીમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજને સમગ્ર દેશમાં ૧૦મુ સ્થાન મળ્યું છે અને ગુજરાત રાજયમાં દ્વિતીય સ્થાન મળ્યુ છે. સંસ્થાએ મેળવેલી આ સિદ્ધી દર્શાવે છે કે, સંસ્થા દ્વારા તેમના વિદ્યાર્થીઓને ઈજનેરી વિદ્યાશાખાઓમાં ઇનોવેશન અને આન્ત્ર્પ્રેન્યોરશીપ ક્ષેત્રે આગળ વધવા ઉત્તમ ઇકો-સિસ્ટમ પૂરી પાડવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ દ્વારા અનેકવિધ ક્ષેત્રે નાવિન્યોનું સર્જન કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ઈજનેરી ક્ષેત્રની કારકિર્દીમાં સફળતાના શિખરો પર પહોંચવાની તક આપવામાં આવે છે. સંસ્થા ખાતે કાર્યરત રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી માટેની સમિતી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળના ઈન્સ્ટિટ્યૂશન ઇનોવેશન કાઉન્સીલ માટેની સમિતિ વિદ્યાર્થીઓને મેંટરીંગ, ફાયનાન્સીંગ, નેટવર્કીંગ સહિતની અનેક પ્રકારની સવલતો પૂરી પાડે છે.
સંસ્થા દ્વારા ઈજનેરી ક્ષેત્રના વિવિધ પ્રકારના ઇનોવેટીવ પ્રોજેકટ બનાવવા, તેમની પેટન્ટ કરવી તેમજ તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરેની હેકાથોન તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા ફન્ડીંગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. સંસ્થાને સતત બીજી વખત આ રેંકીંગમાં મળેલ સફળતા બદલ સંસ્થાના આચાર્યશ્રી ડો. વી. એસ. પુરાણી દ્વારા ઇનોવેટીવ અભિગમ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોની કામગીરીને માટે બિરદાવવામાં આવી છે. સંસ્થા ખાતે આ રાષ્ટ્રીય સ્તરના રેંકીગના કોર્ડીનેટર ડો. રાજેશ માલણ, સંસ્થાના SSIP કોર્ડીનેટર ડો. કે. એલ. મોકરીયા તેમજ તમામ ખાતાના વડા અને SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી) અને IIC (ઈન્સ્ટીટ્યુશન્સ ઈનોવેશન કાઉન્સિલ)માં ખંતપૂર્વક કામગીરી બજાવતા તમામ અધ્યાપકોને આચાર્યશ્રી દ્વારા આભિનંદન પાઠવવામાં આવ્યા છે.