(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજીત ‘કલામૃતમ્’ સમર કેમ્પનું આજે સમાપન કરાયું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રેરણા અને પ્રદેશના શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં 6 દિવસીય ‘કલામૃતમ્’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આજે પોતાની ઉત્કૃષ્ટ કલા પ્રસ્તૂતિ કરી કેમ્પનું સમાપન કરાયું હતું. આ શિબિરમાં બાળકોને ચિલ્ડ્રનયુનિવર્સિટી ગુજરાતના અનુભવી અને વિવિધ કળાઓમાં મહારથ ધરાવતા નિષ્ણાંતો દ્વારા બાળ મનોવિજ્ઞાનને નજર સમક્ષ રાખી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
આજે સમાપન પ્રસંગે ચિલ્ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. નિલેશ પંડયાએ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોના આયોજન માટે પોતાની તત્પરતા બતાવી હતી. ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.